પંજાબના ફિલ્લૌરમાં એક એવી ઘટના સામે આવી જે જાણીને કદાચ તમને નવાઇ લાગશે. વાત એવી છે તે અહીં દારૂ પીવાની શોખીન પત્નીએ અડધી રાતે સૂઇ રહેલા પોતાના જ પતિ પર સ્પિરિટ નાખી સળગાવી દીધો. આવું કરવા પાછળ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉનના કારણે પતિ તેણીને ક્યાંય ફરવા લઇ જતો ન હતો અને ન તો પિયર લઇ જતો હતો આથી ગુસ્સે થઇને પત્નીએ આવું કર્યું.
સમગ્ર મામલે પીડિત પતિ ગુરપ્રીતની ફરિયાદના આધારે પત્ની, સાસુ તથા સસરા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ કરવા સહિતની કલમ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. બીજી બાજુ પત્ની દ્વારા પતિને જીવતો સળગવવાની વાત સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પોતાના પુત્રને બચાવવાના ચક્કરમાં પોતાનો એક પગ તોડાવનારા પીડિત વ્યક્તિના પિતા ત્રિભોચન સિંહે જણાવ્યું કે લગ્નના બે મહિના બાદથી જ તેની પુત્રવધુએ સાસરિયાને દારૂનો અડ્ડો બનાવી દીધો. તેની પુત્રવધુ રોજ સૂરજ આથમ્યા બાદ દારૂની બોટલ ખોલી ઉંચા અવાજમાં ગીત વગાડી દારૂ પીવાનું શરૂ કરી દેતી.
ત્રિભોચન સિંહે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ તેઓ પુત્રવધુને આવું કરતાં અટકાવતા તો તે ઝઘડવાનું શરૂ કરી દેતી એટલું જ નહીં પિયરમાં ફોન કરી તેના ભાઇ અને માતા દ્વારા ગાળો અને ધમકી અપાવતી કે દહેજ માગવાના કેસમાં બધાને જેલમાં મોકલી દેશે. એક વખત તો પુત્રવધુની માતા અને ભાઇ ફિલ્લૌર આવી સમગ્ર પરિવારના લોકોને ગાળો આપી ઘરની બહાર કાઢી ચૂક્યા છે.
સમગ્ર મામલે સબ ઇન્પેક્ટર કુલવિંદ્ર સિંહ જે આ કેસની તપાસ કરી રહ્યાં છે તેઓએ જણાવ્યું કે ગુરપ્રીતની પત્ની રમનદીપ અને તેની માતા કમલજીત કૌર અને તેના પિતા હીત સિંહ તમામ વાસી ખન્ના વિરુદ્ધ ગુરપ્રીતની હત્યા કરવાનું ષડયંત્ર રચવાની ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તમામની ધરપકડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.