કેન્દ્ર સરકારે ‘વન નેશન વન રાશન’ યોજનાની કરી મોટી જાહેરાત જાહેરાત, 23 રાજ્યોમાં ક્યારથી લાગૂ કરાશે
નવી દિલ્હી: કોરોના સંકટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આર્થિક પેકેજના બીજા હિસ્સાની જાહેરાત કરી. આ દરમિયાન તેમણે પ્રવાસી મજૂરો, ખેડૂતો અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે 9 મોટી જાહેરાત કરી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં વન નેશન વન રાશન કાર્ડ યોજનાને લાગુ કરાશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, આ સાર્વજનિક વિતરણ સાથે જોડાયેલી 83 ટકા વસ્તીને કવર કરશે. જ્યારે 23 રાજ્યના 67 કરોડ રાશનકાર્ડ ધારક (જે કુલ પીડીએસ વસ્તીના 83 ટકા છે) ઓગસ્ટ 2020 સુધી નેશનલ પોર્ટિબિલિટી હેઠળ આવશે. જોકે 2021 અગાઉ 100 ટકા નેશનલ પોર્ટેબિલિટી હાંસલ કરી લેવાશે. ઉલ્લેખનીય છે કે,અગાઉ વન નેશનલ વન રાશન કાર્ડ યોજના 1 જૂન 2020થી સમગ્ર દેશમાં લાગુ કરવાની ચર્ચા ચાલી રહી હતી.
શું છે આ યોજના
વાસ્તવમાં આ યોજના મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (એમએનપી) સમાન છે. મોબાઈલ પોર્ટમાં તમારો નંબર નથી બદલાતો અને તમે કંપની બદલી ફોનનો ઉપયોગ કરી શકો છઓ. આ રીતે રાશન કાર્ડ પોર્ટેબિલિટીમાં તમારું રાશન કાર્ડ નહીં બદલાય. સરળ શબ્દોમાં કહીએ તો તમે એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ થાવ તો ત્યાં પણ રાશન કાર્ડનો ઉપયોગ કરી સરકારી સ્ટોરથી અનાજ મેળવી શકશો.
ઉદાહરણ તરીકે, માનો મોહિત કુમાર ઝારખંડનો રહેવાસી છે અને તેની પાસે ત્યાંનું રાશન કાર્ડ છે. આ રાશન કાર્ડ થકી તે બિહાર કે દિલ્હીમાં પણ સરકારી સ્થળોએ સરકારી કિંમતે અનાજ મેળવી શકશે. સરકારના મતે આ યોજનાથી ફેક કાર્ડ અને ભ્રષ્ટાચારની ઘટનામાં ઘટાડો જોવા મળશે. કોઈપણ વ્યક્તિ સરહદના નિયમોથી બંધાયેલો નહીં રહે અને તે દેશમાં કોઈપણ સ્થળે અનાજ મેળવી શકશે. આ માટે તેને નવા રાશનકાર્ડની જરૂર નહીં પડે. એટલે કે જુના રાશન કાર્ડ જ માન્ય ગણાશે.
કયા રાજ્યોમાં લાગુ?
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 17 રાજ્યોએ રાશન કાર્ડ પોર્ટેબિલિટીને લાગુ કરી દીધી છે. આ યોજના લાગુ કરનારા રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન. કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ. ગોવા, ઝારખંડ અને ત્રિપુરા જેવા રાજ્યો પણ સામેલ છે.