નવી દિલ્હીઃ લોકોમાં કોરોનાવાઈરસનો ડર એ હદે હાવી થઈ ગયો છે કે નાની અમથી વાતથી પણ લોકો ડરવા લાગે છે. હાલમાં જ નવી દિલ્હીના બુધ વિહાર વિસ્તારમાં બે-બે હજારની નોટ જોઈને લોકો ભાગવા લાગ્યા હતાં.
કેમ ભાગ્યા લોકો?
વાસ્તવમાં કોઈએ નોટ જોઈને એ અફવા ફેલાવી દીધી હતી કોરોનાનો કાળો કેર વર્તાવવા માટે કોઈએ થૂંક લગાવીને આ નોટો રસ્તા પર મૂકી છે. આ નોટો જે પણ લેશે તેને કોરોના થશે.
પોલસીને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે નોટો તો ના ઉપાડી પરંતુ જ્યાં જ્યાં બે-બે હજારની નોટ પડી હતી ત્યાં ઈંટ મૂકી દીધી હતી. જ્યારે નોટોનો માલિક આવ્યો તો પૂરી તપાસ કર્યાં બાદ તેને આપી દીધી હતી.
પોલીસના મતે, તમામ નોટ શ્યામ વિહાર કોલોનીમાં આવેલી બુધ વિહાર નિવાસી મૃત્યુંજય શર્માની હતી. મૃત્યુંજય શર્માએ ગુરુવાર (9 એપ્રિલ)ના રોજ એસીબીઆઈના એટીએમમાંથી 20 હજાર રૂપિયા લીધા હતા.
મૃત્યુંજયને ઘરે જવાની ઉતાવળ હતી અને તેથી જ તેમનાથી રસ્તામાં બે-બે હજારની નોટ પડી ગઈ હતી પરંતુ તેમને ખ્યાલ નહોતો. કોઈએ આ નોટોથી કોરોના ફેલાશે, તેવી અફવા ફેલાવી દીધી અને તેને કારણે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.