નરેન્દ્ર મોદી પથ્થરની નહીં પણ 22 કિલો ચાંદીની ઈંટ મૂકીને કરશે રામ મંદિરનું ભૂમિ પૂજન
નવી દિલ્હીઃ અયોધ્યામાં પાંચ ઓગસ્ટે રામમંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. એ જ દિવસથી રામમંદિરના નિર્માણનું કાર્ય પણ શરૂ થઇ જશે. કહેવાય છે કે પીએમ મોદી મંદિરનો પાયો ચાંદીની ઇંટ મૂકીને મૂકશે. આ ચાંદીની ઇંટ 22 કિલોની છે, જેની કિંમત 15 લાખની છે. આ ઇંટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
ઇંટ પર શું લખ્યું છે? આ ઇંટમાં નરેન્દ્ર મોદીનું નામ લખેલું છે. જેના પર ભૂમિપૂજનનો સમય અને સ્થાન અંકિત કરાયું છે આ સાથે ઇંટનું વજનનો પણ ઉલ્લેખ કરાયો છે.
200 લોકો રહેશે હાજરઃ આ ઉત્સવમાં 200 લોકો સાામેલ થશે, જેમાં બધાએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. ભૂમિ પૂજન માટે પીએમ મોદી, લાલકૃષ્ણ આડવાણી અને ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિત 150 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
માટી અને જળ મોકલવાનો સિલસિલો શરૂઃ તો બીજી તરફ રામજન્મભૂમિ પર દેશની પવિત્ર નદીઓનું જળ અને પાવન મુખ્ય તીર્થ ભૂમિની માટી મોકલવાનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. રામજન્મ ભૂમિ ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલના મત મુજબ કોરોના સંકટના કારણે શ્રદ્ધાળુ ખુદ નથી આવી શકતા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી માટી અને જળ મોકલી રહ્યાં છે.