મુંબઈઃ ભારતમાં હાલમાં 21 દિવસનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ટીવી તથા બોલિવૂડ સ્ટાર્સ આખો દિવસ ઘરમાં વિવિધ એક્ટિવિટી કરીને ટાઈમ પાસ કરે છે. તેઓ પોતાની એક્ટિવિટીની તસવીરો કે વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરે છે. કોઈ સ્ટાર્સ રસોઈ બનાવે છે તો કોઈક પોતું કરે છે. કોઈ વાસણો સાફ કરે છે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’માં નૈતિકનો રોલ પ્લે કરનાર અને અક્ષરાનો પતિ બનનાર ટીવી એક્ટર કરન મહેરા શૅફ બની ગયો છે. તેણે હાલમાં જ પિત્ઝા બનાવ્યા હતાં.
કરન મહેરાએ ઈન્સ્ટાગ્રામમાં કેટલાંક વીડિયો શૅર કર્યાં હતાં, જેમાં તે વિવિધ પ્રકારની રેસિપી બનાવે છે. આમાંથી એક વીડિયોમાં કરન મહેરા એકદમ પર્ફેક્શન સાથે પિત્ઝા બનાવે છે. વીડિયો શૅર કરીને કરને કહ્યું હતું કે તે ધોરણ 12ની પરીક્ષા આપ્યા બાદ તેણે ડોમિનોઝમાં ટ્રેઈની તરીકે કામ કર્યું હતું. તેણે પોતાની પહેલી જોબમાં પિત્ઝા બનાવતા શીખ્યું હતું.
વધુમાં કરન મહેરાએ ઘણી જ સહજતાથી ફ્રેન્ચ ફ્રાયઝ પણ બનાવી હતી. કરન મહેરાની કુકિંગ સ્ટાઈલ જોઈને ચાહકો ઘણાં જ ખુશ થયા હતાં. તેમણે કરનના ઘણાં જ વખાણ કર્યાં હતાં.