લખનઉઃ ઉત્તર પ્રદેશના બરેલીથી સીતાપુર જતી એક બસ ઊંડી ખીણના કિનારે અડધી લટકી ગઈ હતી. આ બસમાં 25 મુસાફરો હતા, જેમના જીવ તાળવે ચોંટયા હતા. ઘણા પ્રયાસો બાદ અંતે તમામ મુસાફરોને હેમખેમ બચાવી લેવાયા હતા.
લખીમપુર ખીરી જીલ્લામાં જંગ બહાદુર ગંજ વિસ્તાર પાસે નેશનલ હાઈવે 24 પર બાઈક ચાલકને બચાવવાના ચક્કરમાં રોડવેઝની બસ એક ખીણ પાસે અડધી લટકી ગઈ હતી. યુપી રોડવેઝની આ બસ બરેલીથી સીતાપુર જતી હતી ત્યારે તેમાં 25 લોકો મુસાફરી કરી રહ્યાં હતા. બસ હવામાં લટકતા જ લોકોએ ડરના કારણે મદદ માટે બુમો પાડી હતી.
ખીણના કિનારે રોડવેઝ બસ ઊંડી ખીણ પાસે પહોંચવા છતા પણ તમામ મુસાફરોમાંથી કોઈને પણ ઈજા પહોંચી નહોતી. આ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલી પોલીસ અને સ્થાનિક લોકોએ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા ઘણા પ્રયાસ અને સફળ પણ રહ્યાં. જે પછી મુસાફરોને બીજી બસમાં બેસાડી નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યા હતા.