મુંબઈઃ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન 77 વર્ષના છે. કોરોનાના સંકટ સમયે ચાહકોને ઘરે રહેવાની અપીલ પણ કરે છે. આટલું જ નહીં તેઓ મુંબઈમાં રોજ બે હજાર ફૂટ પેકેટ્સ પણ વહેંચે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાની તબિયતને લઈ વાત કરી હતી, જેને કારણે ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા છે.
અમિતાભ બચ્ચને હાલમાં જ બ્લોગમાં પોતાની આંખોને લઈ ચિંતા પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને ડર છે કે ક્યાંક તેઓ પોતાની આંખની રોશની ના ગુમાવી દે. હવે તેમને ધુંધળું દેખાય છે અને ક્યારેક એવું લાગે છે કે આંખોની દૃષ્ટિ જતી ના રહે. શરીરમાં વધુ એક બીમારી ના આવી જાય.
અમિતાભની આ વાત સાંભળીને અનેક ચાહકો ચિંતામાં મૂકાઈ ગયા છે. અમિતાભે એમ પણ કહ્યું હતું કે તેમણે ડોક્ટરને આ અંગે વાત કરી છે. ડોક્ટરે આપેલાં ટીપા તેઓ નિયમિત રીતે નાખે છે. કમ્પ્યૂટર સ્ક્રિન સામે તેઓ વધુ કલાક જુએ તો તેમને આંખમાં દુખાય છે.
અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ માતા તેજી બચ્ચનને યાદ કરે છે. તેમણે કહ્યું હતું કે નાનપણમાં જ્યારે તેમને આંખ દુખાતી તો માતા પાલવનો ખૂણો ફૂંક મારીને આંખ પર મૂકતા અને તેની હૂંફથી આંખની તકલીફ તરત જ દૂર થઈ જતી હતી. અમિતાભે કહ્યું હતું કે તે આજે પણ માતાના બતાવેલા નુસખા ફોલો કરે છે અને તેમને ફાયદો પણ થાય છે.
આ વર્ષે અમિતાભ બચ્ચનની ચાર ફિલ્મ રિલીઝ થવાની છે, જેમાં ‘બ્રહ્માસ્ત્ર’, ‘ગુલાબો સિતાબો’, ‘ઝુંડ’ તથા ‘ચેહરે’ સામેલ છે.