બોલિવૂડમાં થોડી પણ માણસાઈ છે? સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર બાદ કર્યો આવો તમાશો કે…
મુંબઈ: 14 જૂને એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી. હવે, ફિલ્મ પ્રોડ્યૂસર મિત્ર સંદીપ સિંહે ખુલાસો કર્યો કે, એક્ટરના નિધન બાદ લોકો કેવા પ્રકારનું વર્તન કરી રહ્યાં છે. સંદીપ સિંહે કહ્યું કે, તેની પાસે બોલિવૂડના કથિત ‘પાવરફૂલ’લોકોના મેસેજ આવ્યા હતા, જેમાં તેને પ્રશ્ન કરવામા આવી રહ્યો હતો કે, સુશાંત સિંહના અંતિમ સંસ્કારમાં તેમને શા માટે આમંત્રણ ના આપવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સુશાંત છેલ્લાં છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તે ડિપ્રેશનની સારવાર લેતો હતો.
સંદીપ સિંહે બોલિવૂડ હંગામાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘સુશાંતના નિધન બાદ લોકો નાટક કરી રહ્યાં છે, તેમને આ પ્રકારની વસ્તુઓ ગમતી નથી. અંતિમ સંસ્કાર બાદ હું ઘરે આવ્યા પછી નહાવા ગયો હતો અને તે સમયે મને અમુક કોલ અને મેસેજ આવ્યા હતા. જેમાં લોકો પ્રશ્ન કરી રહ્યાં હતા કે તેમને અંતિમ સંસ્કારમાં શા માટે ના બોલાવવામાં આવ્યા. મને મેસેજ મળ્યો કે- ‘અમે પાવરફૂલ લોકો છીએ, તે અમને શા માટે ના બોલાવ્યા.’ મારો મતલબ એ છે કે, આ લોકોના દિમાગમાં શુ ચાલી રહ્યું છે? શૉકિંગ. આ લગ્ન હતાં કે લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવે.’
સંદીપ સિંહે કહ્યું,‘એકતા કપૂર વિવાદોમાં હતી છતાં તે પોતાની મરજીથી ત્યાં આવી. શ્રદ્ધા કપૂર, રણદીપ હુડ્ડા આ બધા લોકો ત્યાં વરસાદમાં ઉભા રહી રડતા હતા. સુશાંતના નિધન કરતા આવા લોકોની હરકતોથી દુ:ખ થઈ રહ્યું હતું.
સુશાંતના નિધન પર કોમેન્ટ કરનારા લોકો કહે છે કે- સુશાંત પાસેથી 7 ફિલ્મ્સ આંચકી લેવામાં આવી હતી, તેના રિલેશનશિપ સ્ટેટ પર આરોપ લાગ્યા, અહીં સુધી કે તેની પાસે હવે પૈસા નહોતા એવી વાતો સોશિયલ મીડિયા પર વહેતી થઈ. પરંતુ સુશાંતના નિધન પાછળ કોઈ વિશેષ કારણ નહોતું, આ બધી વાતો-કારણો કાલ્પનિક છે.’
સંદીપ સિંહે કહ્યું કે, સુશાંત એક આઉટ સાઈડર હતો અને તેણે યશરાજ ફિલ્મ્સ, ધર્મા પ્રોડક્શન સહિત ઘણા મોટા મેકર્સ અને પ્રોડ્યૂસર્સ સાથે કામ કર્યું. સંદીપે સુશાંતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા કહ્યું. તેમણે કહ્યું, ‘તેના પરિવારને હાલ થોડા સમય માટે એકલા છોડી દો. તેના પરિવારને થોડું સમજો. એવી તો કેવી પીડા હશે કે આટલા સફળ વ્યક્તિએ આત્મહત્યાનો નિર્ણય લીધો હશે.’