ગિરડીહ (ઝારખંડ): કહેવાય છે ને કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’. પરંતુ ઝારખંડમાં ચોંકાવનારી ઘટના બની, જેને સાંભળનાર કોઈ પણ વ્યક્તિ આવું ક્યારેય વિચારી પણ ના શકે. એક માતાએ નાની અમથી વાત પર પોતાના 3 માસુમ બાળકોને બોક્સમાં બંધ કરી જીવતા સળગાવી મારી નાંખ્યા. જે પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી હતી. વાસ્તવમાં ગિરિડીહ વિસ્તારની આ ઘટના મંગળવારે (9 જૂન) સવારે સામે આવી હતી. જ્યાં રવીન્દ્ર નામના વ્યક્તિની 35 વર્ષીય પત્ની સોનિયા દેવીએ પોતાના 8 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષની દીકરીને એક બોક્સમાં બંધ કરી આગ લગાવી દીધી. જે પછી તેણે પોતે પણ આત્મહત્યા કરી.
એક અહેવાલ અનુસાર, મહિલાના ઘરમાં દૂધ અંગે વિવાદ થયો હતો, જે પછી તેણે આ ભયાનક નિર્ણય લીધો. જ્યારે મૃતકના પિતાએ દીકરી અને તેના બાળકોની સાસરીવાળાઓએ હત્યા કરી હોવાનો દાવો કર્યો હતો. ઘટના અંગે જાણ થતા જ પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી.
ગામના લોકોએ આ ઘટના અંગે જણાવ્યું કે, રવીન્દ્રના ઘરમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો, જ્યારે અમે લોકો પહોંચ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. અમે દરવાજો તોડી અંદર ગયા તો 2 બાળકોની લાશ બોક્સમાં જ્યારે એક બાળકની લાશ બેડ પર હતી. જ્યારે સોનિયા દેવી પણ ઘણી ગંભીર રીતે દાજેલી સ્થિતિમાં જમીન પર બેભાન પડી હતી.
પોલીસને સોનિયાના પિતાએ કહ્યું કે- ‘આજે સવારે જ હું દીકરીને લેવા આવવાની તૈયારીમાં હતો. પરંતુ તે અગાઉ જ મને ખબર પડી કે તે હવે હયાત નથી.’ પોલીસે કહ્યું કે- હાલ આ મામલે કોઈ લેખિત ફરિયાદ મળી નથી. જે સમયે આ દુર્ઘટના થઈ ત્યારે મહિલાનો પતિ રવીન્દ્ર ખેતરમાં કામ કરવા ગયો હતો.