નોઈડાઃ નોઈડાના સેક્ટર-120 સ્થિત આમ્રપાલી જોડિયાક સોસાયટી સ્થિત શેર બ્રોકર દંપત્તિએ શુક્રવારે બપોરે એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મહિલાના મામાની સૂચના બાદ પોલીસે દરવાજો તોડી મૃતદેહ નીચે ઉતરાવ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી કે, શેરમાર્કેટમાં મોટું નુકસાન થવાના કારણે તેમણે આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. જોકે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
પોલીસે જણાવ્યું કે, મૂળ નૌબસ્તા કાનપુરના વિનીત સિન્હા (34) અને પત્ની શ્વેતા (32) અહીં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. ગુરુવાર રાતે જ વિનીતે પોતાની બહેન અનુરાધાને એક મેઈલ કર્યો હતો જેમાં તેણે પોતાના જીવનનો અંત કરવાની વાત લખી હતી.
શુક્રવારે બપોરે, અનુરાધાએ ઈ-મેઈલ જોયા બાદ તાત્કાલિક તેણે ભાઈ-ભાભીને ફોન કર્યો. બંને સાથે વાત ના થવા પર અનુરાધાએ ભાભીના મામાને આ અંગે જાણ કરી. શ્વેતાના મામા બપોરે 3 વાગે સોસાયટી પહોંચ્યા અને તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો. અંદરથી જવાબ ના મળતા તેમણે સોસાયટીના લોકો અને પોલીસને જાણ કરી હતી.
પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા જોયું તો બંને એક સાથે જ અલગ-અલગ કપડા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, વિનીત અને શ્વેતા લૉકડાઉન દરમિયાન પોતાના ઘરે ગયા હતા અને 2 દિવસ અગાઉ જ નોઈડા પરત આવ્યા હતા. બંનેના લગ્ન 6 વર્ષ અગાઉ થયા હતા. તેમને કોઈ બાળક નથી અને તેઓ એકલા જ અહીં રહેતા હતા.
ટેબલ પર હતી કોલ્ડ ડ્રિન્ક અને બ્રેડનું પેકેટ
જ્યાં કપલે આત્મહત્યા કરી ત્યાં જ પાસે ટેબલ પર પાણીની 3 બોટલ, એક કોલ્ડ ડ્રિન્ક અને બ્રેડ પડી હતી. જેના પરથી એવો અંદાજ લગાવાયો કે તેમણે સવારે નાશ્તો કર્યો હશે. જે પછી જ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. સોફા પર બંનેના ફોન પડ્યા હતા.
સેન્ટ્રલ નોઈડાના એડીસીપી અંકુર અગ્રવાલે બંને મૃતકોના શેરબજારમાં કામ કરતા હોવાની વાત જણાવી હતી અને તેમના મોતનું કારણ શું તે અંગે વિસ્તૃત તપાસ કરતા હોવાનું વાત કહી હતી.