માભોમની ખાતર પોતાની પરવા કર્યાં વગર 3 દિવસ સુધી ચીની સૈનિકોનો બોલાવ્યો હતો ખાત્મો, એક સલામ તો બને જ છે!
દેહરાદૂન: ભારત અને ચીનની વચ્ચે છેલ્લા 2 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. 15 જૂને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જો કે આ વખતે પણ ભારતીય સેનાએ એક વખત ફરી સાબિત કરી દીધું કે, માતૃભૂમિની રક્ષા કાજ બધું ન્યોછાવર છે. 1962માં જ્યારે ચીન અને ભારતનું યુદ્ધ થયું ત્યારે પણ આપણી સેનાના જવાનાએ પ્રાણોની આહુતિ આપીની માભોમની રક્ષા કરી હતી. આ યુદ્ધમાં કેટલાક એવા સૈનિક હતા જેની સામે ચીની સેનાએ ઝુકવું પડ્યું હતું. આવા જ એક જવાન હતા, જસવંતસિંહ રાવત. તેમણે ત્રણ દિવસમાં ચીનના 300 સૈનિકોનો ખાતમો બોલાવી દીધો હતો. તો ચાલો જાણીએ જસવંત સિહની બહાદુરી અને દિલેરીની કહાણી
કોણ હતા જસવંતસિંહ? જસવંતસિંહનો જન્મ 19 ઓગસ્ટ 1941માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલના એક નાનકડા ગામમાં થયો હતો. જસવંતસિંહ જ્યારે સેનામાં ભરતી થવા માટે ગયા તો તેમની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી. આ કારણથી તેમને સેનામાં ભરતી કરવા માટે ના કહી દેવાઇ. ત્યારબાદ તેમની વયમર્યાદા પુરી થઇ તો તેમણે ફરી સેનામાં ભરતી થવા માટે પ્રયાસ કર્યાં અને સફળ રહ્યાં. જસવંતસિંહ 1962માં ચીન સામે યુદ્ધ લડતાં-લડતા વીરગતિને પામ્યા હતા.
17 નવેમ્બર 1962માં ચીને અરૂણાચલ પ્રદેશમાં કબ્જા કરવા માટે હુમલો કર્યો હતો. આ સમયે અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેના તૈનાત ન હતી.ચીને તેનો ફાયદો ઉઠાવ્યો અને ચીને અરૂણાચલ પ્રદેશમાં ભારે આતંક મચાવ્યો. ત્યારે જ ગઢવાલ રાયફલની બટાલિયને અહીં યુદ્ધ માટે રવાના કરાઇ. આ ટીમમાં જસવંતસિંહ પણ સામેલ હતા. આ સમયે ચીનને જવાબ આપવા માટે સૈનિકો પાસે પુરતા શક્તિશાળી હથિયાર ન હતા. આ સમયે સરકારે સેનાને સૈનિકોની ટીમને પરત બોલાવી લેવાનો આદેશ કર્યો. પરંતુ ગઢવાલ બટાલિયનના ત્રણ સૈનિકોએ પરત ફરવાનો ઇન્કાર કરી દીધો. આ ત્રણ જવાનમાં જસવંતસિંહ, લાંસ નાયક ત્રિલોક સિંહ લેગી, અને રાઇફલ મેન ગોપાલસિંહ ગુસાર્ઇ હતા.
જસવંત સિંહે બંને સાથીઓને મનાવીને પરત મોકલી દીધા અને તે ખુદ નૂરાનાંગ પોસ્ટ પર તૈનાત થયા. તેમણે એકલા જ ચીનની સેનાને રોકવોનો નિર્ણય કર્યો. જસવંતસિંહ આ પોસ્ટ પર એકલા જ ત્રણ દિવસ સુધી ચીનની સેના સામે લડતાં રહ્યાં. તેમણે બે કે પાંચ નહીં પરંતુ એકલાએ જ ચીની સેનાના 300 સૈનિકોને મોતના ઘાટ ઉતારી દીધા હતા. ચીની સેના જસવંતસિંહના કારણે ત્રણ દિવસ સુધી આગળ ન હતી વધી શકી. આટલું જ નહીં જસવંતસિંહ એવી રીતે ફાયરિંગ કરતા હતા કે, ચીની સેનાને લાગ્યું કે કોઇ એક નહીં પણ પોસ્ટ પર આખી બટાલિયન લડી રહી છે.
શૈલા અને નૂરાએ પણ આપ્યો સાથઃ જસવંતસિંહ જ્યારે ચીની સેના સામે લડી રહ્યાં હતા. આ સમયે તેના માટે ખાવા પીવાનો સામાન ત્યાંની જ બે સ્થાનિક બહેનો શૈલા અને નૂરા પહોંચાડતી હતી. જો કે ત્રણ દિવસ બાદ ચીની સેનાએ નૂરાને પકડી લીધી. તો શૈલા પર ગ્રેનેડ ફેંકી દેવાયો.આ રીતે જસવંતસિંહ સાથે એ બંને બહેન પણ શહીદ થઇ ગઇ. આ બંને બહેનોની શહાદતની સ્મૃતિમાં ભારતના બે પહાડને નૂરા અને શૈલા નામ અપાયું છે.
ચીની સેનાએ બહાદુરીનું કર્યું સન્માનઃ બંને બહેનોના શહીદ થયા બાદ જસવંતસિંહ પાસે સામાનની અછત થવા લાગી. આ સમયે ત્રીજા દિવસે તેમણે ખુદને જ ગોળી મારી દીધી. જો કે તેમણે 300 શહીદોનો ખાતમો કરીને શહાદત વહોરી. આ સમયે જ્યારે ચીની સૈનિકોએ જોયું કે એક જ ભારતીય સૈનિક તેના પર ભારી પડી રહ્યો હતો તો તેમની બહાદુરી જોઇને તે પણ દંગ કરી ગયા. ચીની સેના જસવંતસિંહનું માથું કાપીને લઇ ગયા હતા. જો કે યુદ્ધવિરામ બાદ જસવંતસિંહને ચીની સેનાએ પણ સન્માન આપ્યું, ચીનીએ સેનાએ જસવંતસિંહનું મસ્તક પરત આપી દીધું અને તેમની કાંસાની મૂર્તિ પણ ભારતને ભેંટ કરી.
આજે પણ કરી રહ્યાં છે રક્ષાઃ જસવંત સિંહ જે સ્થાને શહીદ થયા તેના નામ પર એ જ સ્થાને એક મંદિર બનાવાયું છે. આ મંદિરમાં ચીને આપેલી,જસવંતસિંહની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ભારતીય સેનાના જવાન ત્યાં મસ્તક ઝુકાવીને ડ્યૂટી પર જાય છે. અહીં આ પોસ્ટ પર તૈનાત સૈનિકોનું માનવું છે કે, જો કોઇ સૈનિક ડ્યૂટી કરતા ઊંઘી જાય તો જસવંતસિંહ તેને થપ્પડ મારીને જગાડે છે અને તે ખુદ પણ સતત માભૌમની રક્ષા માટે સજગ રહે છે.
જસવંત સિંહ જ્યાં શહીદ થયા હતા, એ પોસ્ટને ભારત સરકારે જસવંત ગઢ નામ આપ્યું છે. જસવંતસિંહનો બધો જ સામાન સ્મારકમાં રાખવામાં આવ્યો છે. આટલું જ નહીં તેના કપડા રોજ પ્રેસ કરવામાં આવે છે. તેના બૂટને પોલિશ પણ કરાઇ છે. સૈનિકોનું કહેવું છે. કે તેમના બૂટ પર રોજ ધૂળ જામેલી પણ મળે છે. જે રીતે કોઇ સૈનિકના પેટ્રોલિંગ સમયે બૂટ ધૂળવાળ થઇ જાય અને તેમને માટે નિયમિત ભોજનની થાળી પણ મૂકાઇ છે.
જસવંત સિંહ ભારતીય સેનાના એકલા જ એવા સૈનિક છે જેને શહાદત બાદ પણ પ્રમોશન અપાયું છે. હવે તેમને રાઇફલ મેનથી કેપ્ટનની પોસ્ટ અપાઇ છે. આટલું જ નહીં તેમના પરિવારને નિયમિત સેલેરી પણ જાય છે.