ચેન્નઈઃ 82 વર્ષનાં કમલાથલ ગયા વર્ષે તે સમયે ચર્ચામાં આવ્યા હતાં, જ્યારે તેમણે 1 રૂપિયાના ભાવે સ્વાદિષ્ટ ઇડલી વેચવાની પહેલ કરી હતી. કમલાથલને ઇડલી પાટી અથવા પાટીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ફરી એકવાર તે ચર્ચામાં રહે છે અને આ વખતે પણ ચર્ચાનો વિષય તેની ઇડલીની કિંમત છે. દેશમાં લોકડાઉનને કારણે, જ્યારે બધી વસ્તુઓના ભાવ આસમાને ગયા છે, ત્યારે લોકોને મદદ કરવાના હેતુથી, ઇડલી પાટીએ તેમની બનાવેલી ઇડલીને ફક્ત 1 રૂપિયામાં જ વેચવાનો નિર્ણય કર્યો છે.
કિંમત વધારવાનો કર્યો ઈનકારઃ જ્યારે કમલાથલ ઉર્ફે ઇડલી પાટીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે કોરોનાવાઈરસ પછી શરૂઆતમાં પરિસ્થિતિ થોડી મુશ્કેલ થઈ ગઈ, પણ હું એક રૂપિયામાં ઇડલી આપવાનો પ્રયત્ન કરીશ. મેં બનાવેલી ઇડલીની કિંમતમાં વધારો કરીશ નહીં. વર્તમાન પરિસ્થિતિને કારણે અહીં વધુ લોકો આવી રહ્યા છે.
અહીં ઘણા પ્રવાસી મજૂરો પણ છે જે લોકડાઉનને કારણે અહીં ફસાયેલા છે, તેથી લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ સમય દરમિયાન, જે લોકો મને મદદ કરી રહ્યાં છે અને આવશ્યક વસ્તુઓ પ્રદાન કરી રહ્યાં છે, તે જ ઉપયોગ કરીને હું ઇડલી બનાવવાનું કામ કરી રહી છું.
ઘણા લોકો મદદ માટે આગળ આવ્યાઃ તંગીનાં સમયમાં સસ્તા ભાવે ઇડલી વેચવાના નિર્ણય બાદ પણ ઘણા લોકો તેમની મદદ માટે આગળ આવી રહ્યા છે. આ જ ક્રમમાં, ભારતીય યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પી.કાલીરાજે તેમને ખાદ્ય અને કરિયાણાની કીટ દાનમાં આપી છે. આ ઉપરાંત સ્કાઉટ અને ગાઇડ્સના સભ્યોએ પણ કમલાથલને આવશ્યક ચીજવસ્તુઓ પૂરા પાડ્યા છે.
તે સમયે, ડીએમકે ચીફ એમ કે સ્ટાલિને શનિવારે (25 એપ્રિલ) કમલાથલ સાથે પણ વાતચીત કરી હતી. સાથે જ તેમને બોલાવીને તેમની પહેલ અને લોકો માટે કરી રહેલાં નેક કામની જાણકારી લીધી હતી.
વીડિયો વાયરલ થયા પછી ગેસ કનેક્શન મળ્યુંઃ ગયા વર્ષે 1 રૂપિયામાં ઇડલી વેચવાની પહેલ શરૂ કરી ત્યારથી જ કમલાથલ ચર્ચામાં રહ્યાં. આ કામ તેમણે ચુલાથી શરૂ કર્યું હતું. જે બાદ તેમનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતાં કમલાથલને સરકાર દ્વારા ગેસ કનેક્શનની સુવિધા પણ આપવામાં આવી હતી. ત્યારબાદથી, તેઓ ફક્ત ગેસ પર આ અભિયાન ચાલુ રાખ્યું છે.