જયપુરઃ 2 વર્ષ અગાઉ દેશના પાટનગર દિલ્હીમાં જોવા મળેલા બુરાડી કાંડની જેમ જયપુરમાં આવી જ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. અહીં એક વેપારીએ પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી. ઘટના બાદથી જ વિસ્તારના લોકો આઘાતમાં છે. આ મામલે જાણ થતા જ પોલીસના ટોચના અધિકારીઓ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ઘટના સ્થળની તપાસ કરવામા આવી રહી છે.
આ કારણે પરિવારે જીવન ટૂંકાવ્યુંઃ આ ઘટના જયપુર જીલ્લાના કાનોતા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં શનિવારે બપોરે ઘટી. અહીં ભરત સોની નામના વેપારીએ પત્ની મમતા સોની તથા 2 યુવા બાળકો અજીત સોની (23) અને યશવંત સોની (20) સાથે મળીને આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું હતું. સ્થાનિક લોકો અનુસાર, લૉકડાઉન બાદથી જ સમગ્ર પરિવાર મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ આવી કલ્પના પણ નહોતી કરી કે તેઓ આટલો મોટો નિર્ણય લેશે.
બાળકોએ પિતાની આજુબાજુમાં જ રહી આત્મહત્યા કરીઃ પોલીસે જણાવ્યું કે, ભરત સોનીના ઘરનો દરવાજો સવારથી જ બંધ હતો. 2-3 કલાક બાદ પણ ઘરમાં કોઈ એક્ટિવિટી ના જોવા મળતા પાડોશીઓએ અવાજ આપ્યો, પરંતુ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. અંતે લોકોને કંઈ અનિચ્છનીય બનાવ બન્યાની આશંકા થતા બારીમાંથી જોયું તો સંપૂર્ણ પરિવારે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જોવા મળ્યું.
માતાની આંખો પર હતી પટ્ટીઃ ઘટનાની જાણ થયા બાદ પોલીસે દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો. પિતા અને 2 દીકરાના મૃતદેહ હોલમાં જોવા મળ્યા હતા. જ્યારે વેપારીની પત્નીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને બંને બાળકોના પગ બાંધેલા હતા.
એક દિવસ અગાઉ મળી હતી હત્યાની ધમકીઃ ઘટના સ્થળે પહોંચેલા એસપી મનોજ ચૌધરીએ જણાવ્યું કે, જ્વેલરીનું કામ કરતા ભરત સોનીએ વ્યાજે પૈસા લીધા હતા. પૈસા માટે વ્યાજ માફિયા સતત ત્રાસ આપી રહ્યાં હતા. આરોપીએ એક દિવસ અગાઉ વેપારીના ઘરે જઈ પૈસા ના મળવા પર હત્યાની ધમકી આપી હતી, જેના કારણે પરિવારે કંટાળીને ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળ પરથી સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. હાલ આ મામલે ધરપકડ કરાયા બાદ અમુક લોકોની પૂછપરછ હાથ ધરવામા આવી છે. જ્યારે તમામ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમના સંબંધીઓને આ અંગે જાણ કરી દીધી છે.