લખનઉઃ કહેવાય છે કે જીવન ક્યારેક ક્યારેક એવા પણ ટ્વિસ્ટ આવે છે જ્યારે માણસ થાકી થાય છે. ત્યારબાદ માણસ એટલો હારી જાય છે કે તે જીવનભર તેમાંથી બહાર આવી શકતો નથી. પરંતુ મુશ્કેલ સ્થિતિમાં પણ જે જંગ જીતે તે જ સમાજ માટે દાખલો બેસાડે છે. ઉત્તર પ્રદેશ કેડર 2008 બેંચની IAS કિંજલ સિંહ પણ આવા જ કેટલાંક વ્યક્તિત્વમાં સામેલ છે. કિંજલ સિંહ હાલ પંચાયતી રાજ વિભાગની નિર્દેશક છે. કિંજલની લાઇફ ખુબ જ સંઘર્ષભરી રહી છે.
IAS કિંજલનો જન્મ 5 જાન્યુઆરી 1982ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં થયો હતો. તેમના પિતા કેપી સિંહ પોલીસમાં ડેપ્યુટી એસપી હતા. તેમના પિતા કેપી સિંહ ખુબજ કડક અને ઇમાનદાર ઓફિસર હતા. તેમનું નામ સાંભળતા જ ગુનેગારો થથડી ઉઠતા હતા.
કિંજલ જ્યારે માત્ર 6 મહિનાની હતી ત્યારે એવી ઘટના બની કે તેની આખું જીવન બદલી નાખ્યું. આ વાત 12 માર્ચ 1982ની છે. એ સમયે કિંજલના પિતા કેપી સિંહ ગોંડા જિલ્લામાં તહેનાત હતા. તેમને એક ગામમાં કેટલાક આરોપીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. કેપી સિંહે પોલીસ દળની સાથે ગામની ઘેરાબંધી કરી. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું.
કિંજલના પિતા ડીએસપી કેપી સિંહ પણ ફાયરિંગમાં ઘાયલ થઇ ગયા. કહેવામાં આવે છે કે તેમની સાથેના ઓફિસરો ઓરાપીઓ સાથે મળી ગયા હતા અને તેમાંથી એક ઓફિસરે કેપી સિંહને ગોળી મારી. ઘાયલ કેપી સિંહ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેમનું મૃત્યુ થઇ ગયું. બાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે ડીએસપી કેપી સિંહની હત્યા આરોપીઓની ગોળીથી નહીં પરંતુ તેમના જ સાથીઓ દ્વારા કરવામાં આવી છે. આ કેસ CBIને ટ્રાન્સફર કરવામાં આવ્યો.
પિતાના મૃત્યુ સમયે કિંજલની માતા વિભા સિંહ ગર્ભવતી હતી. તેઓએ 6 મહિના બાદ વધુ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ પ્રાંજલ રાખ્યું. પિતાના મૃત્યુ બાદ આ પરિવાર પર મુશ્કેલીનો કોઇ પાર ના રહ્યો. સરકારે ડીએસપી કેપી સિંહના મૃત્યુ બાદ તેમની પત્ની વિભા સિંહને વારાણસીમાં ટ્રેજરી ઓફિસમાં નોકરી આપી.
કિંજલની માતા વિભા સિંહ પણ પોતાના પતિની જેમ ખુબ જ સાહસી અને નિર્ભિક મહિલા હતી. તેમણે પતિના હત્યારાઓને સજા અપાવવાનું નક્કી કર્યું. તે પોતાની પુત્રી કિંજલ અને પ્રાંજલને ખોળામાં લઈ બલિયાથી CBI કોર્ટ દિલ્હીની સફર કરતી.
તેમની માતા જ્યારે લોકોને કહેતી કે તે પોતાની બંને પુત્રીઓને IAS ઓફિસર બનાવશે તો ત્યારે લોકો તેમના પર હસતા હતા. માતાના પગારનો મોટો ભાગ કોર્ટ કચેરી અને પુત્રીઓને ભણાવવામાં ખર્ચ થઇ જતો.
ધીમે ધીમે કિંજલ અને પ્રાંજલ બંને બહેનો મોટી થઇ. શરૂઆતના શિક્ષણ બાદ કિંજલે દિલ્હીની શ્રીરામ કોલેજમાં એડમિશન લીધું. ત્યાં કિંજલ ગ્રેજ્યુએશનના પ્રથમ સેમેસ્ટરમાં જ હતી કે તેની માતાને કેન્સર જેવી ઘાતક બીમારી થઇ ગઇ. આ દરમિયાન તેની માતા ઘાતક બીમારી, પતિના હત્યારાઓને સજા અપાવવા અને પુત્રીઓને IAS બનાવવાની લડાઇ લડતી રહી.
કિંજલે જ્યારે જોયું કે તેની માતાની તબીયત ઝડપથી બગડી રહી છે તો તેમણે માતાને વાયદો કર્યો કે તેની બંને પુત્રી ઓફિસર બની તેમનું સપનું પૂર્ણ કરશે. કિંજલના આ શબ્દોએ તેમની માતાને રાહત આપી. પરંતુ બાદમાં 2004માં કિંજલની માતાનું મૃત્યુ થઇ ગયું.
હવે નાની બહેન પ્રાંજલની પણ જવાબદારી કિંજલ પર આવી પડી. પરંતુ માતા-પિતાની જેમ સાહસી કિંજલે હિમ્મત ના હારી અને સતત પ્રયોત્નો ચાલુ રાખ્યા. વર્ષ 2008માં બીજા પ્રયાસમાં જ તે IAS માટે સિલેક્ટ થઇ ગઇ. એટલું જ નહીં એ વર્ષે તેની નાની બહેન પ્રાંજલ IRS માટે સિલેક્ટ થઇ ગઇ. બંને બહેનોએ પોતાના માતા-પિતાનું સપનું પૂર્ણ કર્યું.
કિંજલે મજબૂતીથી CBI કોર્ટમાં પિતાની હત્યાનો કેસ લડ્યો અને તેમ તેની જીત પણ થઇ. 5 જુન 2013માં લખનઉ CBIની વિશેષ કોર્ટે ડીએસપી કેપી સિંહની હત્યામાં 18 પોલીસકર્મીઓને દોષીત ઠેરવી સજા ફટકારી. એ સમયે કિંજલ સિંહ બહરાઇચની ડીએમ હતી.