લખનઉઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વીજ થાંભલામાંથી પાણીની ધાર નીકળી રહી છે. આ વિસ્તારના લોકો તેને એક ચમત્કાર માને છે અને સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે, આ 33000 વૉલ્ટના વીજ થાંભલામાંથી પાણી અને વીજળી એક સાથે લઈ શકાય છે. અલીગઠમાં થઈ રહ્યો છે ચમત્કાર.
ત્યાં હાજર લોકો પણ વીજના થાંભલામાંથી પાણી નીકળતાં જોઈને આશ્ચર્યચકિત થયા હતાં. લોકો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે વીજ થાંભલામાંથી પાણી કેવી રીતે બહાર આવી શકે છે. આ જોઈને લોકોમાં ડરનો માહોલ પણ હતો.
વીજ થાંભલામાંથી 33000 વોલ્ટની લાઇન પસાર થઈ રહી છે. લોકોએ તાત્કાલિક વહીવટને જાણ કરી હતી. એક દિવસ બાદ મહાનગર પાલિકા અને વીજ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે અનુમાન લગાવ્યું હતું કે જૂની પાણીની પાઇપલાઇન વીજ થાંભલાની નીચેથી પસાર થઈ રહી છે જે લીક થઈ ગઈ છે. જેના કારણે થાંભલામાંથી પાણી નીકળી રહ્યું છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્સ્પેક્ટર હેમેન્દ્ર ગૌતમે જણાવ્યું હતું કે વીજળી બંધ થયા બાદ નીચેથી ખોદકામ કરવામાં આવશે. તે પછી જ પાણી છોડવાની યોગ્ય માહિતી મળશે. અધિકારીઓનું કહેવું છે કે આ કામ વહેલી તકે સુધારવામાં આવશે. લોકોને ડરવાની જરૂર નથી.
અલીગઢમાં, વીજ થાંભલામાંથી પાણી નીકળતું હોવાની વાત સાચી છે પરંતુ આ કોઈ ચમત્કાર નહીં પણ ખામી છે, જે ટૂંક સમયમાં સુધારવામાં આવશે. વીજ થાંભલાની નીચે પાણીની એક જૂની પાઇપલાઇન જઇ રહી હતી જે લીક થઈ ગઈ છે. જે બાદ થાંભલાઓમાંથી પાણી નીકળવાનું શરૂ થયું, જેને લોકો એક ચમત્કાર માની રહ્યા છે.