જીરકપુરઃ ઢકૌલીના બસંત વિહાર સોસાયટીમાં એક મહિલાને તેના પતિએ ચાકુ વડે હત્યા કરી હતી. ઘટના બાદ આરોપી પતિ મૃતદેહને બાથરૂમમાં સંતાડી ફરાર થયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી પતિ અશોક સૈની વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તેની તપાસ શરૂ કરી છે. મૃતક મહિલાની ઓળખ સુદેશ રાની (45) તરીકે થઈ છે. પોલીસે મહિલાના દીકરા રુબલ સૈનીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. ડીએસપી ડેરાબસ્સી ગુરબખ્શીશ સિંહ, એસએસઆઈ નરપિંદર સિંહે ફોરેન્સિક ટીમ સાથે ઘટના સ્થળેથી સેમ્પલ ભેગા કર્યા હતા.
વારંવાર થતો હતો ઝઘડો
અશોક સૈની એલ્યુમીનિયમ ફિટિંગનું કામ કરતો હતો. ઘણીવાર તેનો પત્ની સુદેશ રાની સાથે ઝઘડો થતો રહેતો હતો. તેમના 2 બાળકો છે, જે ગત રાતે બીજા રૂમમાં સુતા હતા. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને અશોકે પત્ની પર એક પછી એક ચાકુના પ્રહાર કરી પત્નીની હત્યા કરી. હત્યા બાદ લોહીથી લથપથ મૃતદેહ ડ્રોઈંગરૂમથી ઢસડી બાથરૂમમાં બંધ કરી ત્યાં તાળુ મારી ભાગી ગયો.
ડીએસપી ગુરબખ્શીશ સિંહે કહ્યું કે, તપાસમાં સામે આવ્યું કે પતિએ જ હત્યા કરી છે. મૃતક ડ્રોઈંગરૂમમાં નીચે ગાદલા પર સુતી હતી અને આરોપીએ ત્યાંજ તેની હત્યા કરી. પાડોશીઓએ કહ્યું કે, પરિવાર કાલે ફરવા અને શોપિંગ કરવા ગયું અને હસી-ખુશી રાત્રે સુતા હતા. ઘટના દરમિયાન મૃતક મહિલાનો અંગૂઠો પણ કાપવામા આવ્યો, જે મહિલાએ બચાવ કરતા કપાયો હોવાની શંકા છે. પાડોશીઓના મતે, ગત રાતે તેઓ કરવાચૌથની શોપિંગ કરી પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ બંનેમાં કોઈ વાતે ઝઘડો થયો અને તે પછી પતિએ હત્યા કરી ફરાર થઈ ગયો.
બાળકોને કહ્યું- માતા ફઈના ઘરે ગઈ છે
સવારે બાળકોએ પિતાને માતા અંગે સવાલ કરતા આરોપીએ તેમને કહ્યું કે- તેમની માતા ફઈના ઘરે ગઈ છે. મોટો દીકરો રુબલ ચંદીગઢથી બી.એ.નો અભ્યાસ કરી રહ્યો છે અને પાર્ટ ટાઈમ કોલ સેન્ટરમાં નોકરી કરે છે. તેણે ફઈને ફોન કરતા તેમણે સુદેશના ત્યાં આવ્યા હોવાનો ઈન્કાર કર્યો. જેથી દીકરાને લાગ્યું કે, પિતાએ માતાને માર મારી બાથરૂમમાં બંધ કરી હશે. તેથી તેણે દરવાજો તોડી બાથરૂમ ખોલ્યો તો ત્યાં માતા લોહીથી લથપથ હાલમાં મળી આવી હતી.
આરોપીના વૃદ્ધ પિતાએ કહ્યું- અમારો પરિવાર બરબાદ થયો
આ ઘટનાથી સંપૂર્ણ વિસ્તાર સ્તબ્ધ છે. લોકોને વિશ્વાસ જ ના થયો કે કોઈ પતિ આ રીતે પત્નીની હત્યા કરી શકે. મૃતકાના 2 દીકરા છે જેમાંથી એક રુબલ 22 વર્ષનો અને નાનો દીકરો 10 વર્ષનો છે. આરોપીના અશોકના પિતા ચૂડિયા રામ આ ઘટનાથી ઘણા દુઃખી છે. તેમણે કહ્યું કે-‘અમારો આખો પરિવાર બરબાદ થઈ ગયો. હવે મારે અને બાળકોને ખાવાના પણ ફાંફા થઈ ગયા.’