ગુજરાતમાં શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શાળામાં જ એક શિક્ષકએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધાની કરૂણ ઘટના બની હોવાનું સામે આવતા શિક્ષકગણોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં મૃતક શિક્ષકએ બે ટીપીઓ(તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનું પગલું ભર્યું હોવાનો સનસનીખેજ વિગતો લખી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષક દિનની ઉજવણી સમયે જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામએ શિક્ષકએ શાળામાં જ ગળાફાંસો ખાધાની કરૂણ ઘટના સામે આવી છે. જેની પ્રાપ્ત વિગત મુજબ આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરેલ હતી. જ્યારે શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતો. જેમાં શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.
સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સ્યૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાય રહ્યા છે. જો મૃતક શિક્ષકએ જ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.