સુરત પોલીસે એક ખોફનાક ષડયંત્રનો પર્દાફાશ કરી હત્યારને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના નંદુરબારના જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ મળી આવેલી હત્યા કરી ફેંકી દેવાયેલી મહિલાની ઓળખ કરી હત્યારાને સુરત પોલીસએ પકડી પાડ્યો છે. એટલું જ નહીં પણ મરનાર મહિલા સુરતની હોવાનું અને હત્યારો મરનાર મહિલાનો પ્રેમી હોવાનું અને પૂર્વ પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરી છે એમ જો લગ્ન નહિ કરે તો તારી સામે પણ બળાત્કારની ફરિયાદ નોંધાવીશ એમ કહેતા પ્રેમિકાની હત્યા કરી ચહેરાની ઓળખ ન થાય એ માટે નિર્દયતા પૂર્વક મોઢાની ચામડી કાઢી નાખ્યા બાદ તમામ અંગો કાપી ફેંકી દીધા હોવાની હત્યારા પ્રેમીએ કબૂલાત પણ કરી હોવાનું પોલીસએ જણાવ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચએ જણાવ્યું હતું કે, ગત તારીખ 24મી ઓગસ્ટ 2021ના રોજ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લામાં અવાવર જંગલમાંથી એક મહિલાની નિર્દયતાથી ગળુ કાપી તેના શરીરના અંગોને અલગ અલગ કાપી ઓળખ ન થાય એ માટે મોઢાની ચામડી કાઢી નાંખી હત્યા કરી ફેંકી દેવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે નંદુરબાર સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ મુજબનો હત્યાનો ગુનો રજીસ્ટર થયેલ હતો.
આ બાબતે ખાનગી બાતમીદાર એ માહિતી આપી હતી કે, મરનાર મહિલા સુરતની હોવાનું અને સીતા સનદકુમાર ભગત (ઉ.વ.23 રહે. મુળ રહે.સીમરીયા મેનપુર ઘાના.મસરથ જી.કપરા, બિહાર)ની હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં પણ સીતાની હત્યા તેના પ્રેમી વિનયકુમાર રામજનમ રાયએ કરી હોવાનું જાણવા મળ્યું હતું.બાતમીદારની માહિતી બાદ પોલીસે તાત્કાલિક વિનયકુમાર રામજનમ રાયની માંડવીના કરંજ ગામથી ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.
આરોપી વિનયે જણાવ્યું હતું કે, હત્યા કરેલ મહિલા તેની પ્રેમીકા સીતા સનદકુમાર ભગત હોવાનું અને છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં રહેતા હતા. હત્યાના દશેક દિવસ પહેલા પ્રેમિકાને બિહારથી સુરત શહેર લઈ આવ્યો હતો. ત્યારબાદ સીતાનો અગાઉ પણ એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જોકે સીતાએ અગાઉના પ્રેમી વિરુધ્ધમાં બળાત્કારનો ગુનો દાખલ કરાવ્યો હતો. એવી જ રીતે જો લગ્ન નહીં કરે તો તેના વિરુધ્ધમાં પણ બળાત્કારની ફરીયાદ લખાવવાની ધમકી આપતી હતી. પોતે પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાથી પ્રેમિકા સીતા ભગતની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
ત્યારબાદ સીતાને સુરત સ્ટેશનથી ટ્રેનમાં બેસાડી નંદુરબાર પહેલા એક સ્ટોપ ઉપર ઉતરી ગયા હતા. ત્યાથી રેલ્વે પાટાને લગતા રોડ ઉપર ચાલતા ચાલતા નંદુરબાર તરફ ગયા હતા. ત્યાં અવાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ જઈ બ્લેડ તેમજ બીજા હથીયાર વડે પહેલા સીતાનું ગળુ કાપી નાંખ્યું હતું. ત્યારબાદ સીતાની ઓળખ ન થાય એ માટે મોઢાની ચામડી બ્લેડ વડે કાપી નાંખી તમામ અંગો છુટા પાડી હત્યા કરી હતી.સુરત પોલીસએ આરોપી વિનયને નંદુરબાર સિટી પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.