કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત નાસિકમાં રહેતા બે વર્ષના બાળક શિવરાજ માટે યોગ્ય બંધ બેસે છે. ગંભીર બીમારી સ્પાઈનલ મસ્કુલર અટ્રૉફીનો ભોગ બનેલા બાળકને 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર પડે છે. ગુજરાતના ધૈયરાજની જેમ દેશમાં અનેક જગ્યાએ આ બમારીથી પીડાતા બાળકના માતા-પિતા લોકો પાસે ફાળો એકઠો કરીને આ ઈન્જેક્શનની વ્યવસ્થા કરી રહ્યા છે. 16 કરોડ રૂપિયાની રકમ એકઠી કરવામાં માતા-પિતાને આંખે અંધારા આવી જતા હોય છે, ત્યારે નાસિકબના બે વર્ષનો શિવરાજ નસીબદાર છે. તેને આ ઈન્જેક્શન લકી ડ્રોમાં મફતમાં મળ્યું હતું.
શિવરાજની કહાની કોઈ મિસાલથી કમ નથી. મૂળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સિન્નર તાલુકામાં વિશાલ અને કિરણ ડાવરે પોતાના દીકરા શિવરાજ સાથે રહે છે. વર્ષ 2019માં જ્યારે તેમના ઘરે દીકરાનો જન્મ થયો તો પરિવારની ખુશી સમાતી નહોતી. પણ 6 મહિનામાં જ આ હાસ્ય ગાયબ થઈ ગયું હતું. કેમ કે શિવરાજ જીવલેણ બીમારીનો શિકાર બન્યો હતો.
ડૉક્ટરોએ શિવરાજના પિતા વિશાલ ડાવરેને કહ્યું હતું કે બાળકને બચાવવું હોય તો 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શન જરૂર પડશે. બીજી તરફ ઈન્જેક્શનની રકમ સાંભળી શિવરાજના માતા-પિતાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. આટલી મોટી રકમની વ્યવસ્થા તો પોતાનું ઘર-મકાન જમીવ બધુ વેચી દે તો પણ થઈ શકે નહોતી. માતા-પિતાએ પોતાના કાળજા ટૂકડાને બચાવવાની બધી આશાઓ છોડી દીધી હતી.
દરમિયાન ઈલાજ કરી રહેલા ડૉક્ટરોએ શિવરાજના પિતાને જણાવ્યું હતું કે અમેરિકામાં આ ઈન્જેક્શન બનાવતી કંપની ભારતમાં એક લકી ડ્રૉ કરે છે. જેમાં તમામ અરજીઓમાંથી એક વ્યક્તિને આ ઈન્જેક્શન મફત આપવામાં આવે છે. આ માહિતી મળ્યા બાદ શિવરાજના પિતાએ આ લકી ડ્રૉમાં પોતાની અરજી આપી હતી.
નસીબ પણ શિવરાજ નામના આ બાળકને બચાવવા માંગતું હોય એમ લકી ડ્ર્રૉમાં આખા દેશમાંથી આવેલી અરજીઓમાંથી શિવરાજનું નામ નીકળ્યું હતું. લકી ડ્રો જીતી લેતા કંપની તરફથી શિવરાજને આ ઇન્જેક્શન મફત આપવામાં આવ્યું હતું. આ વર્ષએ 19 જૂનના રોજ હિન્દુજા હોસ્પિટલમાં શિવરાજને આ લાઈફ સેવિંગ ઈન્જેક્શન લગાવવામાં આવ્યું હતું. ઈન્જેશન પછી શિવરાજના જીવનમાં ખુશીઓ પાછી ફરી છે.