મુંબઈઃ આપણે પણ ગીઝર ચાલુ રાખીને બાથરૂમમાં ન્હાતા હોઈએ છીએ. જોકે, આજે અમે તમને મુંબઈનો એક એવો કિસ્સો જણાવીશું, જે વાંચ્યા બાદ તમે હવે ક્યારેય ગીઝર ચાલુ રાખીને ન્હાશો નહીં.
કેમ સાવચેતી રાખવી?
મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક યુવતી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી પરંતુ જ્યારે તે બહાર નીકળી ત્યારે તેની હાલત ગંભીર હતી. પરિવાર તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો પરંતુ તે બચી શકી નહીં. ગીઝર સહિત ઘરના તમામ વીજળીના ઉપકરણો સાવધાનીથી વાપરવા જોઈએ. બાથરૂમમાં યુવતીને ગીઝરને કારણે ઓક્સીજન મળ્યો નહોતો અને તે બેભાન થઈ ગઈ હતી.
શું થયું હતું?
પાંચ જાન્યુઆરી, રવિવારની સવાર, વિસ્તાર હતો બોરીવલી પશ્ચિમ. પોતાના પરિવાર સાથે હસી ખુશી રહેતી યુવતી ન્હાવા માટે બાથરૂમ ગઈ હતી. ખાસ્સા સમય બાદ પણ તે બહાર નીકળી નહોતી. આથી જ પરિવારના સભ્યોએ એક પછી એક દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું હતું પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. અંતે, પરિવારે બાથરૂમનો દરવાજો ખોલી નાખ્યો હતો.
બેહોશ હતી દીકરીઃ
જ્યારે ઘરના સભ્યોએ દરવાજો તોડ્યો તો યુવતી બાથરૂમમાં બેભાન પડી હતી. ગરમ પાણીને કારણે તેના શરીર પર મોટા-મોટા ચાઠાં પડી ગયા હતાં. પરિવાર તાત્કાલિક યુવતીને લઈ હોસ્પિટલ ગયો હતો.
જન્મદિવસના દિવસે નિધન થયું
મુંબઈની ગોરાઈમાં આવેલી મંગલમૂર્તિ હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલતી હતી. યુવતી બાથરૂમમાં ગીઝરમાંથી નીકળનારી કાર્બન મોનોક્સાઈડને કારણે બેભાન થઈ હતી. બાથરૂમમાં ઓક્સીજન પૂરો ના મળવાને કારણે મગજે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ અને તે તરત જ બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલમાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે, પાંચ દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીએ તેણે હંમેશ માટે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ જ દિવસે તેનો જન્મદિવસ હતો. તેનો જન્મદિવસ તેનો અંતિમ દિવસ બનીને રહી ગયો હતો.
શું કહે છે એક્સપર્ટ?
એક્સપર્ટના મતે, બાથરૂમમાં ન્હાતા સમયે ગીઝરનો ઉપયોગ ક્યારેય ના કરવો. બાથરૂમમાં વેન્ટિલેશન ના હોવાથી આવી ઘટના થઈ શકે છે. આ સાથે જ ગીઝરને સમય-સમય પર ચેક કરાવો અને જેની પાસે ચેક કરાવો તે સર્ટિફાઈડ એક્સપર્ટ હોવો જરૂરી છે.