મેરઠઃ શુક્રવારે (12 જૂન), ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ખરખૌદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલીખેડા ગામમાં, ત્રણ નનામીઓ એક જ ઘરમાંથી એક સાથે જયારે નીકળી, ત્યારે આખું ગામ શોકમાં ગરકાવ થઇ ગયું. પરિવારના સભ્યો અજંપાની સ્થિતિમાં છે. ત્રણેયના મૃતદેહની ગમગીન વાતાવરણમાં અંત્યેષ્ઠી કરવામાં આવી હતી. નવ-દંપતી સહિત ત્રણ લોકોના જીવ એક દુ:ખદ અકસ્માતમાં ગયા હતાં.
વાસ્તવમાં, હાપુડના બાપુગઢમાં કન્ટેનર પલટી ડજવાથી પીપલીખેડા ગામના બાઈક સવાર યુવક, તેની પત્ની અને નાના ભાઈનું ગુરુવારે (10 જૂન) અવસાન થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે ત્યાંથી પસાર થતા લોકો હતપ્રભ થઇ ગયા. અકસ્માતની જાણ થતાં જ પરિવારના સભ્યોમાં ખળભળાટ મચી ગયો હતો.
ખરખૌદા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલીખેડા ગામે રહેતા અલી મોહમ્મદને છ પુત્રો છે. તેણે લોકડાઉનમાં ચોથા નંબરના પુત્ર મુબારિક(20) અને તેનાથી નાના સલાઉદ્દીન(18)ના લગ્ન કર્યા હતા. મુબારિકના લગ્ન રમઝાન મહિનામાં બુલંદશહેરના થાણા ગુલાવઠી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ચિડાવા ખાતે રહેતા ખુશનુમા અને સલાઉદ્દીનના લગ્ન ઈદના બે દિવસ બાદ થાણા ગઢ વિસ્તારના સૌગઢ ગામની રહેવાસી રૂબીના સાથે થયા હતા. નિકાહના બે દિવસ બાદ રુબીના તેના પિયર ચાલી ગઈ હતી, પરંતુ તેની ખુશી તો સાસરામાં જ હતી.
ગુરુવારે મુબારિક તેની પત્ની ખુશાનુમા અને ભાઈ સલાઉદ્દીન સાથે બાઈક પર સવાર થઈને તેના સાસરે જઈ રહ્યો હતો. નેશનલ હાઇવે -9 પર બાબુગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ સિમરૌલી કટ પાસે અચાનક એક કન્ટેનર બાઈક પર સવાર ત્રણ લોકોને બચાવવાના ચક્કરમાં નિયંત્રણ ગુમાવીને બાઈક પર જ પલટી મારીને પટકાઈ ગયું. અકસ્માતમાં બાઇક સવાર સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
દાદરીથી કાગળ અને કૂચાઓનો કચરો લોડ કર્યા બાદ કન્ટેનર કાશીપુર ઉત્તરાખંડ જઇ રહ્યું હતું. અકસ્માત બાદ આરોપી ચાલક કન્ટેનર છોડીને ભાગી ગયો હતો. પોલીસને માહિતી મળતા જ ઘટનાસ્થળ પર જઈ પર પહોંચી અને અકસ્માત અંગે પરિવારજનોને જાણ કરી હતી. જેને પગલે ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.
પરિવાર ઘટના સ્થળે પહોંચે, ત્યાં સુધીમાં પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. પિતા ઘટના સ્થળે જ બેભાન થઈ ગયા. તે જ સમયે, મુબારિકની માતા સુમૈદા પણ આક્રંદ કરી રહી હતી. ત્યારે, સીઓ સિટી રાજેશકુમાર સિંહે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનોની ફરિયાદ પર કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
રુબીના રાહ જોતી રહી ગઈઃ નિકાહના બે દિવસ પછી, રુબીના પીપલીખેડાથી તેના પિયરે આવી ગઈ હતી. ગુરુવારે સલાઉદ્દીન તેને સાસરે લઈ જવાનો હતો. રુબીના તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે જ તેને અકસ્માતની જાણ થઇ.
મજૂરી કરીને ગુજરાન ચલાવે છે પરિવારઃ અલી મોહમ્મદ પાસે માત્ર બે વીઘા ખેતીની જમીન છે. આમાં, પરિવારના તમામ લોકો મજૂરી કરે છે. અલી મોહમ્મદના પરિણીત બે પુત્રો તેમના પરિવાર સાથે અલગ રહે છે. બાકીના બે પુત્રો પરિવાર સાથે જ રહે છે.