આજકાલ સેલ્ફી લેવાનો અલગ જ ટ્રેન્ડ છે. વ્યક્તિ ક્યાંય પણ જાય તે સેલ્ફી લીધા વગર રહી શકતો નથી. ઘણીવાર સેલ્ફીને કારણે જીવ ગુમાવવો પડતો હોય છે. આપણે અનેક કિસ્સાઓ સાંભળ્યા છે કે સેલ્ફીના ચક્કરમાં માણસોના મોત થયા છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમા લગ્ન પહેલાં જ ગુજરાતી પરિવારે ભાવિ વહુ ગુમાવી દીધી છે.
મૂળ કચ્છના સામખિયાળીના અને હાલ મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની પરિવાર સાથે મધ્યપ્રદેશના જાણીતા ભેળાઘાટ ફરવા ગયા હતા. જ્યાં તેમના પત્ની અને થનાર પુત્રવધુનું અકમસાતે નર્મદા નદીના તેજ પ્રવાહમાં સેલ્ફી લેતાં તણાઈ જવાથી કરુણ મોત થયાની ઘટના સામે આવી છે. બનાવના પગલે કચ્છ અને મુંબઇ સોની સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
અરવિંદભાઈ તેમના પત્ની હંસાબેન, પુત્ર રાજ અને થનાર પુત્રવધુ રિદ્ધિબેન પર્યટનસ્થળ ભેળાઘાટ પર ગયા હતા. જ્યાં 50 વર્ષીય હંસાબેન અને થનાર પુત્રવધુ 22 વર્ષીય રિદ્ધિ પીંછડીયા હોટેલ ગોપાલ નજીકના જાહેર સ્થળ પર આવેલી એક પથ્થરની ચટ્ટાન પર ચડીને મોબાઈલ ફોનમાં સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન બન્નેએ સંતુલન ગુમાવતા નર્મદા નદીના પડી ગયા હતા. ઝડપભેર વહેતા પાણીમાં સાસુ અને થનાર પુત્રવધુ બન્ને તણાઈ જવા પામ્યા હતા.
બનાવના પગલે ઉપસ્થિત જન સમૂહમાં બુમાબુમ મચી જવા પામી હતી અને પાણીમાં વહેતા બન્ને મહિલાઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસ નાકામ રહ્યાં હતાં. સાસુ હંસાબેનને બચાવ કામગીરી દરમિયાન કિનારે લવાયા હતા, પરંતુ તેમના શ્વાસ ઉભા રહી ગયા હતા. જ્યારે રિદ્ધિબેનનો મૃતદેહ કલાકોની જહેમત બાદ નદીમાંથી મળી આવ્યો હતો. મૃતકમાં જે સાસુ છે એમનું પિયર પક્ષ અંજાર છે અને એમના ભાઈ અંજાર ખાતે રેસ્ટોરન્ટ ચલાવે છે.
ગોજારી દુર્ઘટનાના સાક્ષી રહેલા પિતા પુત્ર બનાવ બાદ હતપ્રભ બની ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે તેમને સાંત્વના અને હિંમત આપી માનસિક આઘાતમાંથી બહાર લાવવાના પ્રયાસો કર્યા હતા. હતભાગી બન્ને મૃતકોના મૃતદેહોને વહીવટી પ્રક્રિયા બાદ સગા સંબંધી વર્ગ દ્વારા રૂબરૂ પહોંચી મુંબઇ લાવવામાં આવ્યા હતા. જ્યાં અલગ અલગ સ્થળે સાંજે 6 વાગ્યે અંતિમવિધિ કરાઇ હતી.
સીએસપી બરગી પ્રિયંકા શુક્લાના મતે 53 વર્ષીય અરવિંદ સોની દરજીકામ કરે છે. તેમનો દીકરો રાજ સોની મુંબઈમાં બેંકમાં નોકરી કરી છે. પત્ની હંસા (50) ગૃહિણી હતી. ચાર મહિના બાદ રાજ સોનીની લગ્ન મુંબઈમાં રહેતી રિદ્ધિ (22) સાથે નક્કી થયા હતા. રિદ્ધિ ટીસીએસમાં નોકરી કરી હતી.
સોની પરિવાર ઓશોનો અનુયાયી છે. તેઓ ઓશો આશ્રમ તથા ભેડાઘાટ અંગે ઘણું વાંચી ચૂક્યા હતા. લગ્ન પહેલાં રાજ તથા રિદ્ધિ ભેડાઘાટ ફરવા માટે 7 જાન્યુઆરી જબલપુર આવ્યા હતા. તેઓ ઓશો આશ્રમ ફર્યા બાદ ભેડાઘાટ આવ્યા હતા.