યૂપીના બાગપતમાં એક આશ્ચર્યજનક ઘટના જોવા મળી છે. અહીં એક એવી ઑફિસ છે, જ્યાં કામ કરતા કર્મચારીઓને હેલમેટ પહેરીને કામ કરવું પડે છે. વહિવટી રેકોર્ડ્સ અનુસાર, જનપદમાં ચાર વિજળી પરીક્ષણ શાખાઓ છે. જેમાંની બે પરીક્ષણ શાખાઓ બડૌતમાં છે, એક ખેકડામાં છે અને એક બાગપતમાં છે, ખેકડાની વિજળી પરીક્ષણ શાખામાં લગભગ 45 કરતાં વધારે કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામ કરવા મજબૂર છે. અહીંના કાર્યાલયની હાલક ખૂબજ જર્જરિત છે. વારંવાર છતનું પ્લાસ્ટર નીચે પડે છે, જેના કારણે અહીં કામ કરતા કર્મચારીઓ વેદપાલ, લલિત સહિત ઘણા કર્મચારીઓને ઈજા પણ થઈ છે.
ઘણા કર્મચારીઓએ ટ્રાન્સફર લીધી
અહીં ઘણા કર્મચારીઓ પોતાની સુરક્ષા માટે હેલમેટ પહેરીને કામ કરે છે. અહીં કામ કરતા કર્મચારીઓ જણાવે છે કે, વરસાદના દિવસોમાં તો આખા કાર્યલયમાં બધેથી પાણી પડે છે. પાણી ભરાયેલું હોય એવી સ્થિતિમાં તેમને અહીં બેસીને કામ કરવું પડે છે.
આ બાબતે ઘણીવાર ઉપરી અધિકારીને જાણ પણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અધિકારીએ આ બાબતે કોઈ તસ્દી જ નથી લીધી. કોઈ મોટી દુર્ઘટનાની બીકે ઘણા કર્મચારીઓ તો અહીંથી ટ્રાન્સફર કરાવીને કાઠા ગામ જતા રહ્યા છે. આ સિવાય ટીજી – 2 અનિલ અને ટીજી – 2 પ્રમોદ મલિકે પણ પોતાની ટ્રાન્સફર કરાવી લીધી છે. એટલું જ નહીં ઘણા કર્મચારીઓ અને ઑપરેટરોએ તો નોકરી પણ છોડી દીધી છે.
અધિકારીઓને કઈં પડી જ નથી
કર્મચારીઓએ જણાવ્યું કે, ઘણી ફરિયાદો કરવા છતાં, કોઈ કઈં ધ્યાન આપી રહ્યું નથી. અત્યારે પણ આ જર્જરિત કાર્યાલયમાં લલિત, વેદપાલ, સીમા, સચિન, ભોપાલ, વિકાસ, અનુજ કુમાર, અમિત કુમાર, સંજય સહિત્ના કર્મચારીઓ કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, અહીં મહિલાઓ માટે તો શૌચાલય પણ નથી, જેના કારણે મહિલા કર્મચારીઓને બહુ તકલીફ પડે છે.
વિજળી પરિક્ષણ એક્ઝિક્યુટિવ એન્જિનિયર નીતિન જયસ્વાલે જણાવ્યું છે કે, દુર્ઘટનાઓની આશંકાઓના કારણે અહીંના કર્મચારીઓએ ઘણા પત્રો પણ લખ્યા છે. પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. કાર્યપાલક એન્જિનિયરે જણાવ્યું કે, હવે ફરીથી રિમાઈન્ડર મોકલવાની તૈયારી ચાલું છે, જેથી કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય.