એક સમયે આરામદાયક જીવન જીવતી રિયા હાલમાં જેલની નાની કોટડીમાં બંધ, આ રીતે પસાર થઈ દિવસ-રાત
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં ધરપકડ બાદ રિયા ચક્રવર્તીનો જેલમાં આજે ચોથો દિવસ છે. સૂત્રોએ જણાવ્યું કે, એક્ટ્રેસને મુંબઈની ભાયખલા મહિલા જેલમાં સીલિંગ ફેન કે બેડ વગરની બેરકમાં રાખવામાં આવી છે. તે ચટાઈ પર જ સૂવે છે અને તેને માત્ર એક ધાબળો અને ચાદર મળ્યાં છે અને ઓશીકું પણ તેને નથી અપાયું. જોકે કોર્ટે ટેબલ ફેનની મંજૂરી આપતા એક્ટ્રેસને આ અંગે સુવિધા મળી શકે છે. તેની બાજુની બેરેકમાં જ ઈન્દ્રાણી મુખર્જી છે.
રિયાને આપવામાં આવ્યું હળદરવાળું દૂધ
એક્ટ્રેસની બેરક બહાર 3 શિફ્ટમાં 2 કોન્સ્ટેબલ 24 કલાક ફરજ બજાવે છે. જેલ અધિકારીઓએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને કારણે કેદીઓની ઈમ્યુનિટી વધારવા હળદરવાળું દૂધ આપવામાં આવે છે. ભાયખલા જેલમાં ગત મહિને અમુક કોરોના કેસ સામે આવ્યા હતા.
મુંબઈ-ગોવામાં રેડ, 2 લોકોની ધરપકડ કરાઈ
એનસીબી દ્વારા ડ્રગ્સ કેસમાં આરોપીઓના નિવેદનના આધારે મુંબઈ અને ગોવામાં 5 સ્થળે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન 2 લોકોની ધરપકડ પણ કરવામા આવી. જેમાંથી એક અંધેરી વેસ્ટનો કરમજીત છે, તે શોવિકનો સ્કૂલ ફ્રેન્ડ હોવાનું સામે આવ્યું છે. અમુક દિવસ અગાઉ તેની અને શોવિકની ચેટ સામે આવી હતી. જેમાં બંને ડ્રગ્સ પેડલરને મળવા મુદ્દે વાત કરી રહ્યાં હતા. બીજી તરફ સીબીઆઈની ટીમ સુશાંતના જીમ ટ્રેનર સમી અહમદની પૂછપરછ કરીરહી છે.
રિયાએ ડ્રગ્સ એંગલમાં 3 મોટા સેલેબ્સના નામ જાહેર કર્યા
એક અંગ્રેજી ચેનલના અહેવાલ અનુસાર, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ એન્ગલમાં ત્રણ બોલિવૂડ સેલેબ્સના નામ જાહેર કર્યાં છે. રિયાએ NCBને એક્ટ્રેસ સારા અલી ખાન, રકુલપ્રીત સિંહ અને ડિઝાઈનર સિમોન ખંબાટાનાં પણ ડ્રગ્સ કનેક્શન હોવાની વાત કરી હતી. આ સાથે તેઓ ડ્રગ્સની પાર્ટીઓમાં પણ સામેલ થતા હતા હોવાનો ખુલાસો કર્યો હતો. આ ત્રણેય વિરુદ્ધ NCB પુરાવા રજૂ કરશે અને એ પછી તેમને સમન પાઠવશે.
સુશાંતે થાઈલેન્ડ ટ્રિપ પર 70 લાખનો ખર્ચ કર્યો હતો
રિયા ચક્રવર્તીએ NCBને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, સુશાંત તેના મિત્રો સાથે થાઈલેન્ડ ટ્રીપ પર ગયો હતો અને અંદાજે 70 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, આ ટ્રીપમાં તેની સાથે સારા અલી ખાન પણ હતી. આ અગાઉ રિયાએ રોહિણી અય્યર અને મુકેશ છાબરાના નામ પણ લીધા હોવાનું બહાર આવ્યું હતું.
કોલકાતામાં રિયાના સમર્થનમાં કોંગ્રેસની રેલી
હવે રિયાના સમર્થનમાં કોંગેસ આગળ આવી છે. કોલકાતામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ રિયાના સમર્થનમાં રેલી કાઢી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે, તેઓ જાણી જોઈને રિયાને ફસાવી રહ્યા છે. રિયાને રાજકારણનો શિકાર બનાવવામાં આવી રહી છે. 2 દિવસ અગાઉ કોંગ્રેસના લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ ટ્વીટ કરીને રિયાનું સમર્થન કર્યું હતું.
તેમણે કહ્યું કે, ભાજપે રાજકીય લાભ માટે સુશાંત સિંહ રાજપૂતને બિહારી એક્ટર બનાવી દીધો. રિયાના પિતા સેનામાં અધિકારી રહી ચૂક્યા છે તેમણે દેશની સેવા કરી છે. રિયા એક બંગાળી બ્રાહ્મણ પણ છે. સુશાંત માટે ન્યાયની વ્યાખ્યા, બિહારી માટેના ન્યાયની વ્યાખ્યા ના હોવી જોઈએ.