અલીગઢના મહાવીરની હત્યા પાછળ પોલીસની પ્રાથમિક તપાસમાં લવ ટ્રાઇએંગલ હોવાનું સામે આવ્યું છે. ડાંસ ટીચર મહાવીર છેલ્લા બે વર્ષથી પોતાની ડાંસ સ્ટુડન્ટને પ્રેમ કરવા લાગ્યો હતો. આ વાત તેણે પરિવારજનોને પણ જણાવી દીધી હતી. પુત્રના પ્રેમ આગળ પરિવારજનો પણ ચૂપ રહ્યાં હતા. પરંતુ એ પ્રેમના કારણે જ તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો. યુવાન પુત્રના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારજનો બેસુધ થઇ ગયા છે. તેઓ પોલીસને હત્યારોપીને સજા આપવાની માગ કરી રહ્યાં છે.
છ વર્ષ પહેલા મુંબઇથી પરત આવ્યા બાદ મહાવીરે અલીગઢમાં જ ડાંસ ક્લાસ ચલાવવાનું શરૂ કરી દીધું હતું. બે વર્ષ પહેલા તેના ડાંસ ક્લાસમાં નૌરંગાબાદની એક યુવતી ડાંસ શીખવા આવવા લાગી. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે આંખ મળી ગઇ અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. પરંતુ આ કહાનીમાં નગલા માનસિંહનો અન્ય એક યુવક પણ આવી ગયો.
માનસિંહનો યુવક પણ યુવતીને પ્રેમ કરતો હતો. તેણે યુવતીના પરિવારજનોને પોતાની સંપૂર્ણ વાત જણાવી લગ્ન માટે રાજી પણ કરી લીધા. આ વાતથી મહાવીરના પેટમાં તેલ રેડાયું હતું. તો મહાવીર અને યુવતીના પ્રેમ સંબંધો અંગે વિનયને જાણ થઇ તો તે વિરોધ કરવા લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે અનેક વખત મહાવીર અને વિનયની ફોન પર યુવતીને લઇને અનબન પણ થઇ.
આ વાતની જાણકારી મહાવીરના પરિવારજનોને પણ થઇ ગઇ. પરંતુ તેઓએ હત્યા સુધી વાત વણસી જશે તેવી આશંકા ન હતી. આ તરફ પ્રેમમાં પાગલ મહાવીર સોમવારે પોતાની પ્રેમીકાનો ફોન આવતા તેને મળવા પહોંચ્યો હતો.
પરંતુ તપાસમાં સામે આવ્યું કે પ્રેમિકાએ વિનયના કહેવા પર મહાવીરને ફોન કરી બોલાવ્યો હતો. જ્યારે મહાવીર તેની પ્રેમિકાને મળવા પહોંચ્યો તો આ દરમિયાન વિનય પોતાના બે સાથીઓને લઇને આવ્યો અને મહાવીરને મોતને ઘાટ ઉતારી દીધો.
મૃતકના પિતા શંકર લાલે જણાવ્યું કે મહાવીર પાંચ ભાઇ-બહેનોમાં સૌથી નાનો હતો. નાનો હોવાને કરાણે બધાનો લાડલો પણ હતો. પરિવારના દરેક સભ્ય તેને ખુશ જોવા માગતા હતા. પરંતુ ક્ષણભરમાં પરિવારની ખુશી માતમમાં બદલાઇ ગઇ. થાના ક્વાર્સીમાં કેસ દાખલ કરાવી આરોપીઓને ઝડપથી સજા આપવાની માગ કરવામાં આવી છે.