દંતેવાડા, છતીસગઢ: આ દુનિયા અનેક રહસ્યોથી ભરેલી છે. દંતકથાઓ પાછળ કોઇને કોઇ હકીકત પણ છુપાયેલી હોય છે. આવી જ રહસ્યમય ગણેશ પ્રતિમા દંતેવાડાથી લગભગ 13 કિમી દૂર ઢોલકલાની પહાડ પર બિરાજીત છે. અંદાજિત 3000 ફૂટની ઊંચાઇ પર એક ખતરનાક પહાડ પર સ્થાપિત આ વિશાળ પ્રતિમા કેટલાક કિલોમીટર દૂરથી જ જોવા મળે છે. તેની ચારે બાજુ ગાઢ જંગલ છે. અહીં સુધી પહોંચવું પણ જોખમ ભરેલું છે. આ કપરા ચઢાણના કારણે ખૂબ ઓછી સંખ્યામાં લોકો અહી આવે છે.
અહીં પહોંચવું જોખમી હોવાથી એડવેન્ચરના શોખીન લોકો અહીં આવવાનું વધુ પસંદ કરે છે.ગણેશજીની આ મૂર્તિને દુર્લભ માનવામાં આવે છે. કહેવાય છે કે, આ ગણેશજી દંતેવાડાની રક્ષા કરે છે. પુરાતત્વવિદોની રિસર્ચમાં સામે આવ્યું હતું કે, આ પ્રતિમાની સ્થાપના નાગવંશી રાજાઓએ 1મી0 અથવા 11મી શતાબ્દીમાં કરી હતી. નાગવંશી રાજા ગણેશજીને તેમના રક્ષક માનતા હતા. પ્રતિમા લગભગ 4 ફૂટના ઊંચા ગ્રેનાઇટ પથ્થરથી બનાવવામાં આવી છે. ગણેશજીના ઉપરના હાથમાં ફરસી છે. તો અન્ય હાથમાં તૂટેલો દાંત રાખ્યો છે.તેમજ ત્રીજા હાથ મોદક અને ચોથો હાથ અભય મુદ્રામાં છે. 22 ઓગસ્ટ ગણેશ ચતુર્થી મનાવવમાં આવશે. તો આ અવસરે આ દુર્લભ મૂ્ર્તિ પાછળની રોચક ગાથા જાણીએ.
દંતેવાડાનું નામકરણ પણ ગણેશ પરથી જ પડ્યું છે.ગણેશજીને દંતેશ પણ કહેવામાં આવે છે. એટલે કે દંતેશના વાડા અપભ્રંશ થઇને દંતેવાડા થઇ ગયું. કહેવાય છે કે. દંતેવાડાના ઘનઘોર જંગલમાં એક ગુફા પણ છે.
આ દુર્લભ મૂર્તિ વિશેની દંતકથા એ છે કે,આ સ્થાને ભગવાન પરશુરામ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ગણેશજીનો દાંત તૂટી ગયો હતો. આ એ દાંત છે. જે આ મૂર્તિના હાથમાં છે. આ ઘટના બાદ ગણેશજીનું નામ એકદંત પડ્યું.
દંતેવાડા ઢોલકલ પહોંચવા માટે પરસપાલ નામના ગામથી પસાર થવું પડે છે.દંતકથા છે કે, આ ગામનું નામ પરશુરામ પરથી પડ્યું છે. પરસપાલ બાદ કોતવાલ ગામ આવે છે.જે કોતવાલના નામ પરથી પડ્યું છે. અહીના કોતવાલ ગણેશજી છે.
મૂર્તિની સ્થાપના નાગવંશી રાજાઓના કાળમાં થઈ હોવાના પુરવા મળે છે.મૂર્તિમાં નાગવંશી રાજાઓનું પ્રતીક નાગનું ચિન્હ બનેલું છે. આટલા વર્ષો બાદ પણ ન જાણે કેટકેટલા વરસાદ અને ભારે પવન બાદ પછી પણ આ મૂર્તિ સલામત છે. લોકોનું માનવું છે કે, આટલી ઊંચાઇ પર બેસવાનો ગણેશજીનો હેતુ એટલો જ છે કે, તે બધા તરફ ધ્યાન આપી શકે અને સૌની રક્ષા કરી શકે. સામાન્ય રીતે અહીં એકાદ -બે લોકો જ પહોંચવાનું સાહસ કરે છે. જો કે ગણેશ ચતુર્થીના અવસરે ચોક્કસ અહીં થોડા વધુ લોકો આવે છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત હોવાથી પણ લોકો આ સ્થાને આવવાનું ટાળે છે.