બુલંદશહર: ફેસબુક પર મિત્રતા, રિલેશનશિપ અને તે પછી પ્રેમિકા દ્વારા કરવામાં આવેલા લગ્નના દબાણનો અંત ઘણો ઘાતક સાબિત થયો. પ્રેમિકાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો ગુરુવારે (4 જૂન) કોર્ટ મેરેજનો વાયદો કરી કોન્સ્ટેબલે પ્રેમિકાને મનાવી લીધી. પ્રેમિકાને તે પોતાના રૂમમાં લઈ ગયો. જે પછી અચાનક છાતીમાં કાર્બાઈન થકી ગોળી મારી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરનાર કોન્સ્ટેબલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકરામ કુરૈશીનો ગનર હતો.
બુલંદશહર જનપદના ગામ રસૂલપુર પિટારીના મનીત પ્રતાપ સિંહ 2018 બેચનો પોલીસકર્મી હતો. વર્તમાન સમયે તેની ડ્યૂટી પોલીસ લાઈનમાં ચાલી રહી હતી. હાલ તેની ડ્યૂટી મુરાદાબાદ દેહાત વિધાનસભાથી ધારાસભ્ય સપાના હાજી ઈકરામ કુરૈશીના ગનર તરીકે હતી. એસપી સિટ આનંદે જણાવ્યું કે, મનીત કટઘરના આદર્શ નગરમાં કમલ ગુલશનના ઘરે ભાડા પર રહેતો હતો. આ ઘરમાં 2 અન્ય પોલીસકર્મી જમીલ ખાન અને અનિલ કુમાર ગૌતમ પણ રહેતા હતા. અનિલ કુમાર ગૌતમે પોલીસને જણાવ્યું કે, સાંજે મનીતની પ્રેમિકા તેની પાસે આવી હતી. તે રાત્રે અહીં હાજર હતી. જેના કારણે જમીલ અને અનિલ ધાબા પર સુવા જતા રહ્યાં હતા.
ગુરુવારે (ચાર જૂન) સવારે 4 વાગ્યા આસપાસ બુમાબુમ થતા અનિલ અને જમીલ નીચે આવ્યો તો જોયું કે, મનીત લોહીથી લથપથ હાલતમાં નીચે પડ્યો હતો. જ્યારે તેની કાર્બાઈન પણ ત્યાં જ પડી હતી. રુમમાં હાજર રહેલી યુવતીએ જણાવ્યું કે, મનીત પ્રતાપે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી છે. જે પછી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી. જાણ થતા જ કટઘર અને ગલશહીદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દોડી આવ્યા. એસપી સિટી અમિત કુમાર આનંદે કહ્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ મનીતનું નિધન આત્મહત્યા જ દેખાઈ રહી છે. યુવતીએ જણાવ્યું કે, તે બુધવારે સાંજે જ ત્યાં આવી હતી. ગુરુવારે બંને કોર્ટ મેરેજ કરવાના હતા. તેમના લગ્ન માટે પરિવારજનો તૈયાર નહોતા.
મૃતકના ભાઈનો આરોપસ લગ્નનું દબાણ કરી રહી હતી યુવતીઃ મૃતક કોન્સ્ટેબલ મનીતના ભાઈ બીરુ સિંહે કહ્યું કે, ‘યુવતી મનીત પર લગ્નનું દબાણ કરી રહી હતી. તે મનીતને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રહી હતી. આ જ કારણોસર તણાવમાં રહેતા ભાઈએ આત્મહત્યા કરી.’ ગુરુવારે બપોર બાદ આવેલી પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, ગોળી હાર્ટ અને ફેફસાને ચીરતા પીઠની બહાર નીકળી ગઈ હતી. સીઓ કટઘર પૂનમ સિરોહીએ કહ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને આપી દેવામાં આવ્યો હતો.