લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું ગઈકાલે (20 એપ્રિલ) નિધન થયું હતું. 89 વર્ષીય આનંદસિંહ બિષ્ટની દિલ્હીના એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી અને તેમની હાલત નાજુક હતી અને છેલ્લા ઘણા દિવસોથી તે વેન્ટિલેટર પર હતા.
તેમણે ગઈકાલે સવારે 10 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. પિતાના અંતિમ સંસ્કારમાં યોગી જવાના નથી. તેમણે માતાને ભાવુક પત્ર લખીને લૉકડાઉન ખુલ્યા બાદ આવશે તેમ કહ્યું હતું. આટલું જ નહીં યોગીએ એમ પણ કહ્યું હતું કે પિતાના અંતિમ સંસ્કારમાં લૉકડાઉનના નિયમોનું પૂરતું પાલન કરવામાં આવે.
સીએમ યોગી આદિત્યનાથને તેમના પિતાના અવસાન અંગે જાણ કરવામાં આવી ત્યારે તેઓ કોરોના સંકટ પર ટીમ -11 ની બેઠક કરી રહ્યા હતા. સમાચાર મળ્યા બાદ પણ બેઠક બંધ કરી નહોતી. થોડી ક્ષણો માટે તેઓ ભાવુક બની ગયા હતાં અને તેમની આંખો ભીંજાઈ ગઈ હતી.
સીએમ યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટને કિડની અને લીવરની તકલીફ હતી. તબિયત ખરાબ હોવાને કારણે 13 માર્ચે તેમને એઈમ્સમાં દાખલ કરાયો હતો. અહીં ગેસ્ટ્રો વિભાગની વિનીત આહુજાની ટીમ તેની સારવાર કરી રહી હતી. ગઈકાલ સવારે 10.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. સીએમ યોગી આદિત્યનાથના પિતા આનંદસિંઘ ઉત્તરાખંડના યમકેશ્વરના પંચુર ગામમાં રહે છે. તેઓ 1991માં ઉત્તરાખંડમાં ફોરેસ્ટ રેન્જરના પદ પરથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેઓ તેમના ગામમાં રહેતા હતા.
યોગી આદિત્યનાથ બાળપણમાં જ પોતાનો પરિવાર છોડીને ગોરખપુર મહંત અવેદ્યનાથ સાથે રહેવા જતા રહ્યા હતા. ત્યાર બાદ યોગી આદિત્યનાથે અવેદ્યનાથની જગ્યાએ ગોરખપુરના મહંત તરીકે જવાબદારી લીધી હતી. ઉત્તરાખંડમાં ચૂંટણી દરમિયાન યોગી ઘણી વખત ચૂંટણી પ્રચાર માટે ગયા હતા.
આ સમય દરમિયાન તેમના પરિવારવાળા યોગીને મળ્યા હતા. મુખ્યમંત્રી બન્યા પછી સીએમ યોગી એક કાર્યક્રમ અંતર્ગત બીજનૌર ગયા હતા. આયોજકોએ તેમના પિતા આનંદસિંહ બિષ્ટીને આ કાર્યક્રમમાં આમંત્રણ મોકલ્યું હતું. આનંદ સિંહ તેમના પૌત્ર અવિનાશ મોહન બિષ્ટ સાથે કાર્યક્રમમાં આવ્યા હતા. આ દરમિયાન સીએમ આદિત્યનાથે તેમના પિતાનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. બંને ભાવુક થઈ ગયા હતા.