ભારત સહિત દેશભરમાં કોરોનાની રસી પર થઈ રહ્યું છે કામ, સપ્ટેમ્બરમાં આવી જશે માર્કેટમાં
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે. દુનિયાનાં 210 દેશોમાં કોરોનાનાં સંક્રમણથી અત્યાર સુધીમાં 7 લાખ 38 હજારથી વધારે લોકો સંક્રમિત છે, જ્યારે 39 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે દુનિયાભરનાં વૈજ્ઞાનિકો વેક્સિનની શોધમાં લાગ્યા છે. હજી સુધી એ જાણ થઈ નથી કે પ્રાણીઓ ઉપર કોરોનાની શું અસર થઈ છે. પરંતુ આ વખતે બે વર્ષના ક્લિનીકલ ટેસ્ટને બે મહિનામાં પુરો કરવાની તૈયારી છે.
વુહાનથી લઈને ઈંગ્લેન્ડ, અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી લેબ વેક્સિન બનાવવા માટે કામ કરાઈ રહ્યું છે. આ પહેલાં ઈબોલાની વેક્સિન પાંચ વર્ષનાં રિસર્ચ બાદ બની હતી. આ વખતે દુનિયા આપાત સ્થિતિમાંથી પસાર થઈ રહી છે, એટલા માટે તૈયારી તે જ પ્રકારે કરવામાં આવી રહી છે.
ઈંગ્લેન્ડમાં એક સાથે 21 લેબમાં કામ શરૂઃ ઈંગ્લેન્ડમાં કોરોનાવાઈરસની વેક્સિન બનાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત એક કરી રહ્યા છે. અહીં 21 નવા રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, તેના માટે ઈંગ્લેન્ડ સરકારે 1.4 કરોડ પાઉન્ડની રકમ પ્રોવાઈડ કરી છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં 10 લાખ વેક્સિનની ડોઝ બનાવવાની તૈયારી ચાલી રહી છે. એવામાં આશા છે કે, દુનિયામાં સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી આવી શકે છે.
મીડિયા રિપોર્ટસ મુજબ, વેક્સિન બનાવવા માટે નક્કી કરેલાં પ્રોટોકોલ પહેલાં જ તેને હ્યુમન ટેસ્ટિંગની તૈયારી ચાલી રહી છે. જાણકારો મુજબ, ખુદ ઓક્સફોર્ડનાં રિસર્ચર્સને જાણ નથીકે, વેક્સિન કેટલી કારગર હશે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં જેનર ઈન્સ્ટિટ્યુટનાં પ્રોફેસર આડ્રિયાન હિલ કહે છે, અમે કોઈ પણ કિંમતે સપ્ટેમ્બર સુધીમાં 10 લાખ ડોઝ તૈયાર કરવા માંગીએ છીએ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એકવાર વેક્સિનની ક્ષમતાની જાણ થાય તો તેને વધારવા પર પછીથી કામ થઈ શકે છે. આ સ્પષ્ટ છે કે આખી દુનિયા માટે કરોડો ડોઝની જરૂર પડવાની છે. ત્યારે જ આ મહામારીનો અંત આવશે અને લોકડાઉનમાંથી મુક્તિ મળશે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાવાઈરસને ખતમ કરવા માટે વેક્સિન જ સૌથી કારગર ઉપાય હોઈ શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગથી ફક્ત બચી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી બોરિસ જોન્સન પોતે સંક્રમણનાં શિકાર થઈ ગયા હતા. જોકે, તે હવે પુરી રીતે સ્વસ્થ છે.
જેનર ઈન્સ્ટિટ્યુટ મુજબ, બે મહિનામાં જાણ થઈ જશે કે વેક્સિન કેટલું કામ કરી શકશે. ઈંગ્લેન્ડ સરકારના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વેલેસે કહ્યુ, 21 પ્રોજેક્ટ છે. હકીકત એ છે કે દરેક પ્રોજેક્ટમાંથી સારા સમાચાર મળવાના નથી. એટલા માટે અમે દરેકને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. શું ખબર ક્યાંથી કોઈ પ્રભાવશાળી વેક્સિન બનીને આવી શકે છે.
WHOનાં પ્રોટોકોલ તોડીને વેક્સિન બનાવવાનું થઈ રહ્યુ છે કાર્યઃ જોકે, વેક્સિન તૈયાર કરવાનો પ્રોટોકોલ 12થી 18 મહિનાનો હોય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન પણ એવુ કહે છે. બ્રિટનનાં ચીફ મેડિકલ એડવાઈઝર ક્રિસ વિહ્ટી કહે છે કે આપણા દેશમાં દુનિયાના જાણીતા વેક્સિન વૈજ્ઞાનિક છે. પરંતુ અમારે આખા ડેવલોપમેન્ટ પ્રોસેસને ધ્યાનમાં રાખવાની છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડેવલોપમેન્ટ પ્રોસેસને ઘટાડી શકાય છે. ટાસ્ક ફોર્સ તેની ઉપર કામ કરી રહ્યુ છે. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી COVID-19ના ઈલાજ માટે વેક્સિન તૈયાર થઈ જાય.
બે વર્ષની ટ્રાયલ બે મહિનામાં પુરી થશેઃ માનવ ઉપયોગ પહેલાં વેક્સિનનું પ્રિ-ક્લિનીકલ પરીક્ષણ પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. તેનાંથી જાણ થાય છે કે તે માણસો માટે કેટલી સલામત છે. તેમાં બે વર્ષનો સમય લાગે છે. પરંતુ આખી દુનિયામાં આપાતકાલ જેવી સ્થિતિને જોતા આ પ્રક્રિયા બે મહિનામાં પુરી કરવાની તૈયારી છે. ક્લિનિકલ ટ્રાયલના બીજા ફેઝમાં કૃત્રિમ ઈન્ફેક્શન પર વેક્સિનને અજમાવવામાં આવે છે. તેનાંથી ક્ષમતાનો અંદાજ લગાવી શકાય છે.
વેક્સિનની સેફ્ટી, સાઈડ ઈફેક્ટ અને અસરનું આંકલન આ ફેઝમાં જ થાય છે. ફેઝ 3માં મોટા પાયે તેનો વાસ્તવિક ઉપયોગ થાય છે. ફેઝ-4માં વેક્સિનનું લાયસન્સ મેળવવામાં આવે છે. જેથી માર્કેટમાં વેચાણ માટે ઉતારી શકાય.
ભારતમાં તેજીથી થઈ રહ્યુ છે કામઃ કોરોનાની વેક્સિનને લઈને ભારતમાં પણ તેજીથી કામ થઈ રહ્યુ છે. હૈદરાબાદની વેક્સિન કંપની ભારત બાયોટેક આવતા ચાર મહિનામાં વિકસિત કરાયેલી વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરૂ કરશે. હાલમાં તેનો પ્રાણીઓ ઉપર પ્રયોગ ચાલી રહ્યો છે. 2020 ખતમ થતાં પહેલાં આ રસી ઉપયોગ માટે ઉપલબ્ધ થઈ શકે છે.