કેન્દ્ર સરકારે ગુજરાતના કયા 9 જિલ્લાઓ રેડ ઝોનમાં મુક્યા, જાણો આ રહી સંપૂર્ણ યાદી
અમદાવાદ: સમગ્ર દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આજે કેન્દ્ર સરકારે રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનની એક યાદી જાહેર કરી હતી, જેમાં દેશનાં 130 જિલ્લા એવા છે જેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ યાદીમાં ગુજરાતના પણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો, ગુજરાતના 9 જિલ્લાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ નવ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી યાદીમાં ગુજરાતમાં જિલ્લાઓ રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા હોવાથી કોઈ પણ પ્રકારની છૂટ મળવાની નથી.
આ ઉપરાંત રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર-સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વની વાત છે કે, ગુજરાતના માત્ર 5 જ જિલ્લા એવા છે જેને ગ્રીન ઝોનમાં સ્થાન મળ્યું છે. જેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમી દ્વારકા જિલ્લાને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જોકે, સૌથી મોટી વાત એ છે કે, અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં હજુ સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી.
કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે કે, ગ્રીન ઝોનમાં આવતાં જિલ્લાઓમાં થોડી ઘણી છૂટ આપવામાં આવશે. જેમાં ગુજરાતમાં આવા જિલ્લાની સંખ્યા ફક્ત 5 જ છે. જોકે, સૌરાષ્ટ્રવાસીઓ માટે સૌથી મોટી રાહત એ છે કે, આ તમામ જિલ્લા મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા સૌરાષ્ટ્રના છે.