દાઉદે કહ્યું હતું કે, ‘કંઈ જરૂર હોય તો કહેજો તો ઋષિ કપૂરે આ રીતે આપ્યો હતો જબરદસ્ત જવાબ
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગુરુવારે નિધન થયું છે. ઋષિ કપૂરના વ્યક્તિત્વના એટલાં કિસ્સા છે કે, તેને ત્રણ કલાકમાં પણ પૂરા કરી શકાય નહીં. ઋષિ કપૂર એક સારા કલાકાર અને સંવેદનશીલ પિતા પણ હતાં. તે એક મસ્તીખોર વ્યક્તિ હતા પણ, દાઉદ જેવાં ડોનને ના કહેવાની હિંમત પણ રાખતાં હતાં. દાઉદ સાથે મુલાકાતનાં કિસ્સા ઋષિ કપૂરે તેમની બૂક ‘ખુલ્લમ ખુલ્લા’માં લખી છે. આ કિસ્સો લખ્યાં પછી ઋષિ કપૂરની બૂક ખૂબ જ વેંચાઈ હતી.
ઋષિ કપૂરે બૂકમાં લખ્યું હતું કે, દાઉદ સાથે તેમની બેવાર મુલાકાત થઈ હતી. પહેલીવાર 1988માં જ્યારે દાઉદ ભારત સરકારથી ભાગતો ફરતો હતો. દાઉદ દુબઈમાં આશા ભોંસલે-આર.ડી.બર્મન નાઇટમાં પહોંચ્યો હતો. બૂકમાં લખ્યાં મુજબ, દાઉદનો એક ઓળખીતો ફોન લઈ ઋષિ કપૂર પાસે આવ્યો અને કહ્યું કે, દાઉદ વાત કરશે. દાઉદે ઋષિ કપૂરને તેમના ઘરે ઇનવાઇટ કર્યાં.
ઋષિ કપૂરે લખ્યું કે, તે સમયે તેઓ તેમના મિત્રો સાથે હતાં. એક રોલ્સ રોય્સમાં તેમને મિત્ર સાથે પિકઅપ કરવામાં આવ્યા. ગાડીએ ઘણાં સમય સુધી તેમને ગોળ ફેરવતી રહી કેમ કે, તેમને દાઉદનાં ઘરનું લોકેશન ખબર પડી શકે નહીં. દાઉદે મુલાકાતમાં મર્ડર અને ફિલ્મી દુનિયા સાથેના કામ સાથેની વાતો કરી હતી. દાઉદે જતી વખતે તેમને કહ્યું કે, તમને ક્યારેય પણ કોઈ વસ્તુની જરૂર હોય, કેટલાંય રૂપિયા અથવા કંઈપણ નિસંકોચ માગજો. જોકે, ઋષિ કપૂરે દાઉદની આ ઓફર નકારી દીધી હતી.
બીજીવાર એક મોલમાં મુલાકાત થઈ
બંનેની બીજી મુલાકાત દુબઈમાં એક મોલમાં થઈ હતી. જ્યાં ઋષિ કપૂર તેમની પત્ની સાથે જૂતાં ખરીદતાં હતા. ત્યારે દાઉદ તેમના 8-9 બોડીગાર્ડ સાથે ત્યાં જ હતો. તેના હાથમાં ફોન હતો. તે વખતે પણ દાઉદે ઋષિને ઓફર કરી હતી કે તેમના માટે કંઈક ખરીદવા માગે છે. ત્યારે પણ ઋષિ કપૂરે તેમને ના પાડી દીધી હતી.