મહેશ-નરેશના નિધનને થયો મહિને, મોટા દીકરા સૂરજે કરી પીંડ વિધિ, પરિવારની આંખો છલકાઈ ઊઠી
અમદાવાદઃ 27 ઓક્ટોબરના રોજ ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનું 77 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. દુઃખની વાત એ છે કે બે દિવસ પહેલાં એટલે કે 25 ઓક્ટોબરના રોજ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. બે દિવસની અંદર કનોડિયા પરિવારના આધારસ્તંભના નિધનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી. મહેશ-નરેશના નિધનને એક મહિનો થઈ ગયો છે. પરિવારે મહેશ તથા નરેશ કનોડિયાની સરામણાની વિધિ ગાંધીનગર સ્થિત ઘરમાં કરી હતી.
તર્પણ વિધિ કરીઃ સામાન્ય રીતે સિદ્ધપુરમાં તર્પણ વિધિ કરવામાં આવે છે. જોકે, કોરોનાને કારણે અહીંયા તર્પણ વિધિ બંધ કરી દેવામાં આવી છે અને આથી જ કનોડિયા પરિવારે સપ્તેશ્વર ખાંત પીંડ તર્પણ વિધિ કરી હતી. આ તર્પણ વિધિ નરેશ કનોડિયાના મોટા દીકરા સૂરજ કનોડિયાના હસ્ત કરવામાં આવી હતી.
નરેશ કનોડિયાનો 20 ઓક્ટોબરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સિટી સ્કેન કરાવવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિ બાદ નરેશ કનોડિયાને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંયા નરેશ કનોડિયાની તબિયત સતત લથડતી જતી હતી.
મહેશ-નરેશના નિધન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્થિત ઘરે આવીને પરિવારને સાંત્વના પાઠવી હતી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ગાંધીનગર આવ્યા હતા.
કોરોનાને કારણે કનોડિયા પરિવારે બેસણું કે શોકસભા યોજી નહોતી. સોશિયલ મીડિયામાં હિતુ કનોડિયાએ એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેઓ મુંબઈ, ગાંધીનગર તથા પોતાના વતન કનોડા ગામ ખાતે પ્રાર્થના સભા યોજશે.