મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ડ્રગ્સ એંગલથી ચાલી રહેલી તપાસમાં સારા અલી ખાન બાદ હવે શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામે આવી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, રિયા ચક્રવર્તીએ NCBને આપેલા નિવેદનમાં સારા બાદ શ્રદ્ધા કપૂરનું નામ પણ લીધુ છે. એવામાં તેને પણ સમન પાઠવવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં, સુશાંતના ફાર્મહાઉસમાં કેરટેકર રહેલા રઈસે કહ્યું કે, ફિલ્મ ‘છિછોરે’ની સક્સેસ પાર્ટી માટે શ્રદ્ધા કપૂર સુશાંત સાથે ફાર્મહાઉસ પર પહોંચી હતી.
કેરટેકર રઈસે જણાવ્યું કે, શ્રદ્ધા કપૂર ઉપરાંત ‘છિછોરે’ના બીજા એક્ટર્સ પણ લોનાવલામાં પાવના લેક પાસેના ફાર્મહાઉસમાં આવ્યા હતા. તમામે ત્યાં એક આઈલેન્ડ પર પાર્ટી કરી હતી. શ્રદ્ધા રાતના 8 વાગ્યા સુધી ત્યાં રોકાઈ હતી, જ્યારે બીજા એક્ટર્સ રાતના 11 વાગ્યા બાદ મુંબઈ જવા નીકળ્યા હતા.
રઈસે જણાવ્યું હતું કે, 2018માં ફિલ્મ ‘કેદારનાથ’ની રીલિઝ સમયે સારા અલી ખાન મોટાભાગે સુશાંત સાથે તેના ફાર્મહાઉસ પર જતી હતી અને પાર્ટી પણ કરતી હતી. સારા સુશાંત સાથે જ્યારે પણ ફાર્મહાઉસ પર જતી ત્યારે 3-4 દિવસ સુધી ત્યાં રોકાતી હતી. ડિસેમ્બર 2018માં પોતાની થાઈલેન્ડ ટ્રિપથી પરત આવ્યા બાદ સુશાંત અને સારા એરપોર્ટથી સીધા ફાર્મહાઉસ પર ગયા હતા. તે સમયે તેઓ રાતે 11 વાગ્યા સુધી ત્યાં હતા. તે સમયે તેમના મિત્રો પણ હતા.
રઈસે જણાવ્યું કે, સુશાંત સારાને પ્રપોઝ કરવા માગતો હતો. તેણે આ માટે દમણ અને પછી કેરળની ટ્રિપની યોજના બનાવી હતી. પરંતુ અમુક કારણોસર આ ટ્રિપ કેન્સલ કરવી પડી હતી. જ્યારે સુશાંતના મિત્ર સેમ્યુઅલ હાઓકિપે પણ સારા અને સુશાંતના સંબંધો પર અમુક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. સારા અને સુશાંત એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા અને તેઓ ‘કેદારનાથ’ ફિલ્મ સમયે એકબીજાથી અલગ રહેતા નહોતા.
સેમ્યુઅલે શંકા વ્યક્ત કરી હતી કે, સુશાંત સાથેના બ્રેકઅપનો નિર્ણય સારાએ ક્યાંક બોલિવૂડ માફિયાઓને કારણે તો નહોતો લીધો. સેમ્યુઅલે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં જણાવ્યું કે, ‘મને કેદારનાથના પ્રમોશનનો સમય યાદ છે. સારા-સુશાંત એકબીજાના પ્રેમમાં હતા અને બાળકો જેવા માસૂમ હતા. તેઓ એકબીજાને માન આપતા હતા, જે આજના સમયના સંબંધોમાં જોવા મળતું નથી. સારા સુશાંતના પરિવારજનો, મિત્રો અને સ્ટાફને પણ માન આપતી હતી. મને લાગતું હતું કે બોક્સ ઓફિસ પર ‘સોનચિરૈયા’ના ખરાબ પ્રદર્શન બાદ સારાએ સુશાંત સાથે બ્રેકઅપનો નિર્ણય કર્યો તે કદાચ બોલિવૂડ માફિયાના દબાણના કારણે તો નહોતો લેવાયો. તે અંગે શંકા છે.’
આ બહુ ચર્ચિત ડ્રગ્સ કનેક્શન મામલે રિયા ચક્રવર્તીની 8 સપ્ટેમ્બરના ધરપકડ કરવામા આવી હતી. તે પછીથી રિયા મુંબઈની ભાયખલ્લા જેલમાં બંધ છે. 2 વાર જામીન અરજી ફગાવવામાં આવી. રિયા પર આરોપ છે કે તે સુશાંત માટે ડ્રગ્સ અરેન્જ કરતી હતી.
એવો દાવો કરવામા આવી રહ્યો છે કે, રિયાએ 25 બોલિવૂડ સેલેબ્સના નામ એનસીબી સમક્ષ જાહેર કર્યા છે, જેઓ ડ્રગ્સ લે છે. એનસીબીએ આ મામલે રિયા અને તેના ભાઈ શોવિક સહિત 20 લોકોની ધરપકડ કરી છે. જેમાં સુશાંતના સ્ટાફના લોકો અને અમુક ડ્રગ્સ પેડલર પણ સામેલ છે. સુશાંત કેસમાં ડ્રગ્સ કનેક્શનનો ખુલાસો રિયાની વ્હોટ્સએપ ચેટ સામે આવ્યા બાદ થયો હતો.