રાજકોટમાં હચમચાવી દેતાં બનાવમાં ચાર પરિવારે આંખના રતન ગુમાવ્યા, આંસુઓ હજી રોકાતા નથી
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં ગઈકાલે ભયંકર અકસ્માતથી તમામ લોકો હચમચી ઉઠ્યા હતા. કાર અને બસ વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ચાર આશાસ્પદ ડૉક્ટરોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ મેડિકલ સ્ટુડન્ટના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે બે સ્ટુડન્ટને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન રાજકોટની યુવતી સિમરન ગિલાનીએ પણ દમ તોડ્યો હતો.
આ ધ્રુજાવી દેતા અકસ્માતમાં મેડિકલના 4 સ્ટુડન્ટના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ હતભાગીઓમાં એક કોર્પેારેશનમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી સિમરન ગિલાણી પણ હતી. સિમરન ઉમેદભાઈ ગીલાણી રાજકોટમાં આમ્રપાલી પાસે રહે છે. લાડલી દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
ગમખ્વાર અકસ્માતમાં અન્ય ત્રણ મૃતકોમાં નિશાંત દાવડા મુળ ગોંડલનો વતની છે અને અહીં હોસ્ટેલમાં રહેતો હતો. જયારે આદર્શ ગોંડલના રામોદના નવાગામનો વતની અને રાજકોટમાં આનંદનગર કોલોનીમાં રહેતો હતો. જયારે ફોરમ ભારતીનગરમાં રહેતી હતી અન્ય ઈજાગ્રસ્ત છાત્રા કૃપાલી ગજ્જર રાજકોટમાં આમ્રપાલી પાસે રહે છે.
આ પાંચેય સ્ટુડન્ટ પારૂલ યુનિવર્સિટીમાં બીએચએમએસનો તબીબી અભ્યાસ કરે છે અને આ છેલ્લું સેમેસ્ટર હતું. જીવ ગુમાવનાર ફોરમ ધ્રાંગધરિયા એક ભાઇની એકની એક બહેન હતી, તેના પિતા સુથારીકામ કરે છે. ફોરમના આકસ્મિક મૃત્યુની જાણ થતાં દાવડા પરિવારના સભ્યો હોસ્પિટલે દોડી ગયા હતા, પુત્રીના નિધનથી પરિવારજનો શોકમાં ડૂબી ગયાં હતાં. રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે એકની એક બહેન ફોરમે હંમેશાં માટે વિદાય લેતા તેના ભાઈએ કરેલા આક્રંદથી હાજર લોકોનાં અશ્રુ સરી પડ્યાં હતાં.
જ્યારે કારચાલક નિશાંત દાવડા એક બહેનનો એકનો એક ભાઈ હતો, તેના પિતા નીતિનભાઇ દાવડા મેડિકલ સ્ટોર ચલાવે છે. મેડિકલ સ્ટોર સંચાલક નીતિનભાઇ પોતાના એકના એક પુત્રને ડોક્ટર બનાવવા ઇચ્છતા હતા. નિશાંત હોમિયોપેથીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. એક વર્ષમાં પુત્ર ડોક્ટર બની જશે એવાં અનેક સ્વપ્ન દાવડા પરિવારના સભ્યો સેવી રહ્યા હતા. આ વર્ષે ભાઇ ડોકટર બની દર્દીઓની સેવા કરી સમાજને મદદરૂપ બનશે એવા રક્ષાબંધનના આશીર્વાદ માત્ર સપનામાં ફેરવાઇ જતાં બેનની આંખમાંથી આંસુ પણ સુકાઈ નથી રહ્યાં.
નોંધનીય છે કે રાજકોટમાં ગોંડલ રોડ પર મક્કમ ચોકમાં આવેલી રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજનાં 15 વિદ્યાર્થી પોતપોતાનાં વાહનોમાં ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાલીમ લેવા માટે ગયા હતા. આરોગ્ય કેન્દ્ર અને ગ્રામપંચાયતની મુલાકાત લઇ બપોરે 1 વાગ્યે તમામ વિદ્યાર્થીઓ પરત રાજકોટ આવવા નીકળ્યા હતા.
કાર હાઇવે પર વાજડી ગામ પાસે પહોંચી હતી ત્યારે કારચાલક નિશાંત દાવડાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇર સાથે અથડાઇને ઊલળીને સામેના રસ્તા પર ફંગોળાઇ હતી. રાજકોટથી કાલાવડ તરફ જઈ રહેલી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારનો કડૂસલો બોલી ગયો હતો.