મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ્સ પોતાના લોકેશન, ડિરેક્શન, સ્ટોરી અને એક્ટિંગ ઉપરાંત સેલેબ્સના કોસ્ટ્યૂમ્સ માટે ચર્ચિત છે. ફિલ્મ્સ સ્ટાર્સ માટે અઢળક રકમ ખર્ચીને બનાવવામાં આવતા આ કોસ્ટ્યૂમ સાથે એક જ ફિલ્મમાં વાપર્યા બાદ શું કરવામા આવે છે, તે અંગે ઘણા લોકોને જાણવામાં રસ રહે છે. આ અંગે યશરાજ ફિલ્મ્સની સ્ટાઈલિસ્ટ આયશા ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો.
આયશાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘ફિલ્મ્સમાં સેલેબ્સ દ્વારા પહેરવામા આવતા મોટાભાગના કપડાઓને સંભાળીને રાખવામા આવે છે. આ સાથે જ તે કપડાઓ પર ફિલ્મનું ટેગ લગાવવામાં આવે છે. જે પછી કપડાને મિસ-મેચ કરીને જુનિયર આર્ટિસ્ટ માટે વાપરવામા આવે છે. જ્યારે તે જ પ્રોડક્સન હાઉસની બીજી ફિલ્મ્સમાં પણ આ કપડાઓનો ઉપયોગ કરાય છે.’
આયશાએ આગળ કહ્યું કે,‘જ્યારે પણ કપડા બીજા સેલેબ્સ કે જુનિયર આર્ટિસ્ટને પહેરાવવામાં આવે છે ત્યારે એક વાતનું ધ્યાન રાખવામાં આવે છે કે આ કપડા અગાઉ કોઈ ફિલ્મમાં કોઈ સેલેબ્સે પહેર્યા હોવાનું દર્શકોની નજરમાં ના આવે. જોકે જરૂરી નથી આવું દરવખતે થાય. અમુકવાર કોઈ સેલેબ્સને ખાસ ડ્રેસ કે વસ્તુ ગમી જાય તો તે પોતાની સાથે લઈ જાય છે.’
ઘણીવાર એવું બને છે કે કોઈ મોટા સેલિબ્રિટી ડિઝાઈનરને ફિલ્મના લીડ એક્ટર્સ અને અન્ય કલાકારો માટે કોસ્ટ્યૂમ તૈયાર કરવાનું કામ આપવામાં આવે છે. જેને ફિલ્મ પૂરી થતા જ ડિઝાઈનર પોતાની સાથે લઈ જાય છે.
ડિઝાઈનર ફિલ્મ રીલિઝ થયા બાદ જે-તે જાણીતા કોસ્ટ્યૂમની હરાજી કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘રોબોટ’માં ઐશ્વર્યા રાય અને રજનીકાંત દ્વારા પહેરવામા આવેલા કોસ્ટ્યૂમની એક એનજીઓ માટે ફંડ ભેગા કરવા માટે હરાજી કરવામા આવી હતી.