મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપુતે 14 જૂન, 2020એ મુંબઈ સ્થિત બાંદ્રામાં તેના ઘરે આત્મહત્યા કરી હતી. આ પછી અનેક સેલેબ્સે બોલિવૂડનું કાળું સત્ય જાહેર કરવાનું શરૂ કર્યું છે. કેટલાકે ઇન્ડસ્ટ્રીમાં દિગ્ગજો પર સગાવાદનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં સુશાંતના મોત પછી બિહારના મુઝફ્ફરપુરમાં સુધીર કુમાર ઓઝા નામના વકીલે એકતા કપૂર, સલમાન ખાન, કરણ જોહર, સંજય લીલા ભણસાલી સહિત કુલ 8 લોકો વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સુશાંતના મોતનું સાચુ કારણ સામે આવી રહ્યું નથી, તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવૂડના પ્રોડ્યૂસર દ્વાર સુશાંતને બેન કરવામાં આવ્યો હતો જેને લીધે તે ઘણાં સમયથી હેરાન હતો. એવામાં અત્યારે સલમાન સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રસ આયશા ટાકિયાએ ઇન્ડસ્ટ્રીની પોલ ખોલી છે.
સુશાંતની આત્મહત્યા પછી અનેક બોલિવૂડ સેલેબ્સ ઇન્ડસ્ટ્રીમાં થતી બુલિંગ અને ટાર્ગેટ કરવાની વાતનો સ્વીકાર કર્યો છે. એક્ટ્રસ આયશાએ પણ બોલિવૂડમાં બુલિંગની થયાનો અનુભવ શેર કર્યો છે.
આયશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી બોલિવૂડ વિશે જણાવ્યું છે. આયશાએ જે જણાવ્યું તે ખૂબ જ ચોંકાવનારું છે. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે શૂટિંગના સેટ પર તેમની સાથે વ્યવહાર કરવામાં આવતો હતો. પણ, તે આ દરેક વસ્તુથી ડરી નહોતી. સાથે જ તેમણે કેટલાક લોકોને સમજાવ્યા પણ હતાં.
આયશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે કે, ‘ટ્રોલિંગ અને કામની જગ્યાએ બુલિંગ મેં અનુભવ્યું છે. હું આ વિશે જણાવવા માગુ છું અને ઇચ્છુ છું કે તમને કોઈ નીચા દેખાડવાનો પ્રયત્ન કરે તો તેનો વિરોધ કરવો’
આયશાએ લખ્યું કે, ‘આ વાતને માની લો કે તમે સૌથી ખાસ છો. તમે પોતાના હક માટે લડવા માટે અહીં છો. તમે અલગ છો. તમારે તે લોકોને જીતવા દેવા જોઈએ નહીં.’
આયશાએ વધુમાં લખ્યું હતું કે, ‘કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમારી નજીકના વ્યક્તિ સાથે વાત કરો. લોકો સુધી પણ તમારી વાત પહોંચાડો. ડાયરીમાં તમારી વાત લખો અથવા ઓનલાઇન કોઈ સાથે વાત કરો, પણ ક્યારેય કોઈને તમારા પર હાવી થવા દેવા નહીં અને કોઈ પણ ખોટી વાત સહન કરવા નહીં.’
આયશાએ કહ્યું. ‘મને ખબર છે કે આ બધુ સરળ નથી, પણ તમારે આવું કરવું પડશે અને આવું કરવાની જરૂર છે. કોઈક તો તમારી વાત જરૂર સાંભળશે. આપણે આવનારી પેઢી માટે આ દુનિયાને સારી બનાવવાની છે અને તેના માટે એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવો. લોકો સાથે સારી રીતે વર્તન કરવું કેમ કે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું તેનો અંદાજો કોઈને હોતો નથી.’
આયશા છેલ્લા 9 વર્ષથી ફિલ્મોથી દૂર છે. આયશાએ 2004માં ફિલ્મ ‘ટાર્ઝનઃ ધી વન્ડર કાર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.આ પછી આયશાએ ‘દિલ માંગે મોર’, ‘સોચા ના થા’, ‘ડોર’, ‘કેશ’, ‘સનડે’, ‘દે તાલી’, ‘વોન્ટેડ’, ‘પાઠશાલા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
આયશા છેલ્લીવાર વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘મોડ’માં જોવા મળી હતી. આયશાના પિતા ગુજરાતી અને મા મુસ્લિમ છે. તેમણે 2009માં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતાં. આયશા ટાકિયાને એક દીકરો છે.
આયશા ટાકિયાને ખૂબ જ ઓછી ફિલ્મો મળી હતી. કેમ કે, તે ફિલ્મમાં ઇન્ટિમેન્ટ સિન્સ આપવાની વિરુદ્ધ હતી. તે ફિલ્મોમાં માત્ર મીનિંગફુલ કેરેક્ટર જ કરવા માગતી હતી. વગર કામના ગ્લેમરસ રોલ પ્લે કરવા તેમને પસંદ નહોતાં. આ પછી તેમણે તેમનું કરિયર છોડી દીધું હતું. અત્યારે આયશા તેમના પતિ સાથે બિઝનેસમાં સપોર્ટ કરી રહી છે. ગોવામાં એક બુટીક હોટેલ ડિઝાઇનિંગનું કામ આયશા ખુદ સંભાળી રહી છે.