ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં પોલીસે મુઘલકાલીન સિક્કા મળ્યા બાદ તેને વેચવા જઇ રહેલા બે લોકોની ધરપકડ કરી છે. વાત એવી છે કે કૌશાંબીના ભૌતર ગામમાં મુકેશ પુરી નામના વ્યક્તિનું ઘર બની રહ્યું હતું. મકાનનો પાયો બનાવવા માટે જ્યારે ખોદકામ થઇ રહ્યું હતું ત્યારે એ દરમિયાન 800 વર્ષ જૂના મુઘલકાલીન સિક્કા મળી આવ્યા.
મુઘલકાલીન સિક્કા મળ્યા બાદ મુકેશ પુરી તેને વેચવા માટે અઝુવા બજારમાં સર્રાફા વેપારી અર્જુન સોની પાસે પહોંચ્યો. અર્જુન સોનીએ સિક્કાને જોયા બાદ મુકેશને જણાવ્યું કે ભરવારી કસ્બાના વેપારી તેની વધુ કિંમત આપી શકે છે. ત્યારબાદ બંને 171 મુઘલકાલીન સિક્કાને વેચવા માટે ભરવારી બજાર જઇ રહ્યાં હતા.
જો કે આ દરમિયાન જ્યારે લોકોને આ વાતની જાણ થઇ તો તેઓએ પોલીસને જાણકારી આપી દીધી. કોખરાજ થાનાની પોલીસ અને એસઓજીની ટીમે અંદાજે 800 વર્ષ જૂના સિક્કાની સાથે બંનેની ધરપકડ કરી લીધી.
ધરપકડ કરાયેલા બંને આરોપીઓએ પોલીસને જણાવ્યું કે આ મુઘલકાલીન સિક્કા તેઓને ઘરના પાયાના ખોદકામ દરમિયાન મળ્યા હતા. સિક્કા જપ્ત થયા બાદ પોલીસ હવે તેનું પિક્ષણ કરવાની તૈયારી કરી રહી છે. તો ધરપકડ કરાયેલા બંને આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે.
આ સિક્કાને લઇને ઉચ્ચ પોલીસ અધિક્ષક અશોક કુમારે કહ્યું કે બંને વ્યક્તિ પાસેથી 171 સિક્કા મળી આવ્યા છે. આ સિક્કાનું વજન અંદાજે 600 ગ્રામ થાય છે.
બંને વ્યક્તિ સિક્કાને વેંચવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ કિસ્સાના પરિક્ષણનું કામ પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યારબાદ તેની સાચી કિંમત જાણી શકાશે.