નવી દિલ્હીઃ છત્તીસગઢના જગદલપુરમાં એક એસડીઓપીની સરકારી ગાડીથી અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોનું મોત થયું હતું. બાઇક સવાર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થતાં બંન્નેનું મોત થયું હતું. યુવકોની લાશ જોઇને તેમના પરિવારની મહિલા બેહોશ થઇ ગઇ હતી. ઘટના સમયે એસડીઓપી ગાડીમાં સવાર હતા. તે કોઇ સરકારી કામ બાદ પાછા જગદલપુર આવી રહ્યા હતા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા લોકોએ એસડીઓપી અને તેના ડ્રાઇવરને માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારની ટક્કરથી બાઇક ઉછળીને દૂર ફેંકાઇ ગયું હતું.
અધિકારી બીજાપુરમાં નક્સલ ઓપરેશનમાં તૈનાત હતા. તે કોઇ કામથી જગદલપુર આવ્યા હતા. પાછા ફરતી સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી.
બાઇક સવાર મોતીરામ અને નીલૂરામ કોલચૂર વિસ્તારના રહેવાસી હતી. તે ગાડીને સામે જોઇને ગભરાઇ ગયા હતા. તેમણે એક્સિડન્ટથી બચવા રસ્તા વચ્ચે બાઇક રોકી દીધી હતી.
એસડીઓપીના ડ્રાઇવરે બાઇક સવારોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં નિષ્ફળ રહ્યો હતો. આ પાછળ કાર સ્પીડમાં હતી એવું કહેવામાં આવે છે.
અકસ્માત બાદ ગામના લોકો ગુસ્સે ભરાયા હતા. તેમણે એસડીઓપી અને તેના ડ્રાઇવરને માર માર્યો હતો. એસડીઓપીએ જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.