પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કોરોનાના અસામાન્ય લક્ષણોવાળા નવા દર્દીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં આવા લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. હવે કોલકાતામાં આવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
આ દરમિયાન શનિવારે અહીં સંક્રમણના 441 નવા કેસો નોંધાયા છે જ્યારે 11 લોકોનાં મોત નીપજ્યાં છે. આથી મૃતકોની સંખ્યા 540 થઈ ગઈ છે. જો કે, સંક્રમિત લોકોની કુલ સંખ્યા 13,500 થઇ ગઈ છે. પરંતુ સરકાર માટે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 652 દર્દીઓ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇ ઘરે પરત ફર્યા છે.
આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી અસામાન્ય લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લક્ષણોમાં સ્નાયુઓમાં દુખાવો, પેટમાં દુખાવો, શરીર પર ફોલ્લીઓ, નાક બંધ, ઝાડા, કોઈ સ્વાદ અને ગંધનો અનુભવ ના થવો જેવા લક્ષણો સામે આવ્યા છે. જે ચિંતાનો વિષય છે. આ દર્દીઓમાં કોવિડ -19ના પરંપરાગત લક્ષણો નથી. કોલકાતામાં હાલમાં રોજ દસ હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે.