મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી જ બોલિવૂડમાં નેપોટિઝમ અંગે ચર્ચા ચાલી રહી છે. સુશાંતના પરિવારે નેપોમીટર નામની એક એપની જાહેરાત કરી છે જેથી જાણી શકાય કે કઈ ફિલ્મમાં કેટલું નેપોટિઝમ છે. ભલે ભાઈ-ભત્રીજાવાદના મુદ્દા હાલ અમુક વર્ષોથી ચર્ચામાં છે પરંતુ બોલિવૂડમાં આ કલ્ચર ઘણા દાયકાથી જોવા મળે છે.
અક્ષય કુમારે મિડ-ડેને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’માંથી તેને અંતિમ સમયે બહાર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મથી જ અજય દેવગને પોતાના કરિયરનો પ્રારંભ કર્યો હતો. અજય દેવગન બોલિવૂડના સ્ટંટમેન વીરુ દેવગણનો દીકરો છે જ્યારે અક્ષય દિલ્હીનો આઉટસાઈડર છે.
અક્ષયને કહેવામાં આવ્યું,‘ભાઈ તું કાલથી ના આવતો’
અક્ષયે કહ્યું કે,‘હું વર્ષ 1991માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ફૂલ ઓર કાંટે’નો ભાગ હતો. હું આ ફિલ્મના સોન્ગ મેકિંગ, ફોટોશૂટ્સ અને આ ઉપરાંત ઘણા સ્થળે હાજર હતો. જોકે શૂટિંગના એક દિવસ અગાઉ મને કોલ આવ્યો જ્યારે હું શૂટિંગની તૈયારીઓ કરી રહ્યો હતો. મને કહેવામાં આવ્યું કે- તમને અન્ય એક્ટરથી રિપ્લેસ કરવામા આવ્યા છે.’ અક્ષયે આ મુદ્દે હસતા-હસતા કહ્યું કે,‘મને કહેવામાં આવ્યું કે ભાઈ તું કાલથી ના આવતો.’
આ ઘટનાને કારણે અક્ષય કુમાર અને અજય દેવગણ વચ્ચે કોઈ મતભેદ નથી અક્ષય કુમાર રોહિત શેટ્ટીની હિટ ફ્રેન્ચાઈઝી ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મ ‘સિંઘમ’માં અજય દેવગણ જોવા મળ્યો હતો. અક્ષય કુમાર ઘણા સમય બાદ કેટરીના કૈફ સાથે કામ કરી રહ્યો છે, જોકે આ ફિલ્મની રીલિઝ કોરોના સંકટના કારણે પોસ્ટપોન કરવામાં આવી હતી અને હવે આ ફિલ્મ દિવાળીમાં રિલીઝ થશે.