ઈન્ડોનેશિયામાં એક 19 વર્ષના શખ્સને બાળકી સાથે રેપના આરોપમાં 146 કોરડાની સજા સંભળાવવામાં આવી પરંતુ પોતાની સજા દરમિયાન તેની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તે બેહોશ થઈને પડી ગયો. રોની નામના આ વ્યક્તિએ સજા આપતી ધાર્મિક વ્યક્તિને અટકવાનું પણ કહ્યું અને તેના માટે થોડી વાર માટે મેડિકલ ઉપચારની પણ વ્યવસ્થા કરવામાં આવી પરંતુ તે બાદ તેને ફરી એક વાર કોરડાની સજા મળવા લાગી. જે બાદ તે બેહોશ થઈ ગયો.
આ શખ્સને આ વર્ષની શરૂઆતમાં એક બાળકી સાથે યૌન શોષણના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયાના આચેમાં ઈસ્લામિક શરિયા કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. આ ઈન્ડોનેશિયાનું એકમાત્ર એવું ક્ષેત્ર છે જ્યા શરિયા કાયદો લાગૂ પડે છે. આ ક્ષેત્રમાં 50 લાખ લોકો રહે છે. જેમાંથી 98 ટકા મુસ્લિમ વસતી છે. વર્ષ 2001માં ઈન્ડોનેશિયાની સરકારે તેને સ્વાયત્તા આપી હતી જે બાદ ત્યાં શરીયા કાયદો લાગૂ કરવામાં આવ્યો.
રોની જેવો પડી ગયો કે તેને મેડિકલ સેન્ટર લઈ જવામાં આવ્યો. આ શખ્સને 169 કોરડાની સજા મળવાની હતી પરંતુ તેની સ્થિતિ જોતા તેને સજા માટે અનફિટ ગણાવવામાં આવ્યો અને સજાને ઘટાડીને 146 કોરડાની કરી દેવામાં આવી.
એક ડૉક્ટરે મેલ ઑનલાઈન સાથેની વાતમાં કહ્યું કે જ્યારે તેને 52 કોરડા પડ્યા તો તેની કમર પર ફરફોલા પડી ગયા હતા. જો તેને આવી રીતે જ માર પડતો રહ્યો હોત તો તેની લોહીની નળીઓ ફાટી શકતી હતી જેનાથી તેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ શકતી હતી. સારું થશે જો હાલ સજાને ટાળવામાં આવે અને જ્યારે તે શખ્સ સ્વસ્થ થઈ જાય તો તેને ફરીથી સજા આપવામાં આપવામાં આવે.
ડૉક્ટરે કહ્યું કે શરૂઆતમાં આરોપી સ્વસ્થ હતો પરંતુ કદાચ થોડો ડરેલો હતો. ત્યારે જ તે વારંવાર પોતાનો હાથ ઉઠાવીને કહી રહ્યો હતો કે તેને તકલીફ પડી રહી છે. પરંતુ છેલ્લે જ્યારે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ થવા લાગી ત્યારે અમે જોયું કે તેના ઘા ખૂબ જ ઊંડા થઈ રહ્યા હતા. સપ્ટેમ્બરના મહિનામાં પણ એક બાળક સાથે બળાત્કાર કરવા બદલ એક શખ્સને શરિયા કાયદા અનુસાર 52 કોરડાની સજા મળી હતી અને તે પણ આ સજા પામ્યા બાદ બેહોશ થઈ ગયો હતો. અહીં ઘણીવાર નાના-મોટા અપરાધો માટે કોરડાની સજા સંભળાવવામાં આવે છે. માનવાધિકાર સાથે જોડાયેલા સંગઠનો આ અમાનવીય સજાની આલોચના કરે છે. પરંતુ આચેમાં લોકોનું આ કાયદાનું પુરું સમર્થન છે.