મુંબઈ : માથેરાનની તળેટીમાં આવેલ ધામણી ગામની ગઢી નદીમાં મળી આવેલા એક તરુણીના મૃતદેહનો કેસ ઉકેલી નાખી નવી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે તરુણીના લીવ ઇન પાર્ટનર અને વ્યવસાયે જીમ ટ્રેન એવા રિયાઝ ખાન (૩૬) અને તેના એક મિત્ર ઇમરાન શેખ (૨૬)ની ધરપકડ કરી હતી. શેખ પહેલેથી પરિણીત હોઈ ત્રણ પત્નીઓ ધરાવે છે. તે મૃતક ઉર્વશી વૈષ્ણવ (૨૭) સાથે છેલ્લા થોડા મહિનાથી લીવ-ઇન રિલેશનમાં રહેતો હતો.
ઉર્વશી મૂળ રાજસ્થાનની બૂંદીની રહેવાસી હોઈ છેલ્લા ૬-૭ વર્ષથી એક હોટેલમાં વેઇટર તરીકે કામ કરતી હતી. નવી મુંબઈ પોલીસે મૃતકના સેન્ડલના આધારે સમગ્ર કેસ ઉકેલી નાખી બન્ને આરોપીને પકડી પાડયા હતા. આ લવ-જેહાદનો કેસ હોવાની પણ શંકા વર્તાવવામાં આવી રહી છે. આ સંદર્ભે નવી મુંબઈ પોલીસના સૂત્રોનુસાર ૧૨ ડિસેમ્બરના રોજ તેમને માથેરાનની તળેટીમાં આવેલ ધામણી ગામની ગઢી નદીના કિનારેથી એક તરુણીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પનવેલ તાલુકા પોલીસે ત્યાર બાદ આ પ્રકરણે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પમ આ પ્રકરણે સમાંતર તપાસ હાથ ધરી હતી. પોલીસને પછીથી વધુ તપાસમાં આ તરુણીનું નામ ઉર્વશી વૈષ્ણવ (૨૭) હોવાનું અને તે કોપર ખૈરણેમાં રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. ઉર્વશીનું ગળુંદાબી તેની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ અહીં ફેંકી દેવામાં આવ્યો હતો. અહીં આસપાસમાં કોઈ સીસીટીવી ન હોવાથી કોઈ વધુ વિગત મળતી નહોતી. જોકે મૃતકે પહેરેલા સેન્ડલને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
નવી મુંબઈ પોલીસે આ સેન્ડલ ક્યાંથી ખરીદવામાં આવ્યા છે તે જાણવા નવી મુંબઈની વિવિધ ફૂટવેઅરની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. વ્યાપક તપાસ બાદ વાશીની એક દુકાનમાંથી આ સેન્ડલ ખરીદવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ થયું હતું. આ દુકાનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ જાણ થઈ હતી કે ઉર્વશી અને અન્ય એક વ્યક્તિ ઘટનાના આઠ દિવસ પહેલાં જ સાથે દુકાનમાં આવ્યા હતા. આ અજાણી વ્યક્તિ બોડી બિલ્ડર લાગતો હોવાથી પોલીસે નવી મુંબઈના વિવિધ જીમમાં તપાસ કરતા તે કોપરખેરણેની એક જીમમાં ટ્રેનર તરીકે કામ કરતો રિયાઝ ખાન હોવાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે ત્યાર બાદ દેવનાર વિસ્તારમાં છટકું ગોઠવી રિયાઝ ખાન અને ગોવંડીથી ઇમરાન ખાનને પકડી પાડયા હતા. રિયાઝે કબૂલ કર્યું હતું કે તેણે જ ઉર્વશીનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. કારણ કે તે સતત લગ્ન કરવા દબાણ લાવી રહી હતી અને રિયાઝ પહેલેથી પરણ્યો હોઈ તેને ત્રણ પત્નીઓ હતી. બન્ને આરોપીને પનવેલ કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને પોલીસ કસ્ટડજી ફટકારવામાં આવી હતી.
ઉર્વશીના પરિવારજનોએ જણાવ્યું હતું કે તે સાત મહિના પહેલા રિયાઝ ખાન નામની વ્યક્તિના સંપર્કમાં આવી હતી. ત્યારથી બન્ને લીવ-ઇનમાં રહેતા હતા. ઉર્વશીના બે ભાઈઓ પણ આસપાસમાં જ રહેતા હતા. ૧૩ ડિસેમ્બરના રિયાઝે ઉર્વશીને હોટેલમાં છોડી અને ત્યાર બાદ તે ફરી ક્યારેય પાછી આવી નહોતી.
ઉર્વશીના ભાઈઓએ તેનો ઘણો સંપર્ક કરવાની કોશિષ કરી પણ તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ તેના પરિવારજનોએ નેરુલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. ૧૭ ડિસેમ્બરના તેનો મૃતદેહ એક નદી પાસેથી મળી આવ્યો હતો. ઉર્વશીના પરિવારજનોએ રિયાઝ પર હત્યાો આરોપ લગાવી તે ઘટનાના બે દિવસથી ગુમ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું.