મુંબઈઃ બોલીવુડ એક્ટર, ડાયરેક્ટર અને ફિલ્મ પ્રોડ્યૂસર અરબાઝ ખાન 53 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 4 ઑગસ્ટ, 1967ના દિવસે પુણેમાં થયો હતો. અરબાઝ એક્ટર તરીકે અનેક ફિલ્મોમાં નજર આવી ચુક્યા છે. જોકે, તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ નથી બનાવી શક્યા. તેમણે 1996માં આવેલી ફિલ્મ ‘દરાર’થી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું, જેમાં તેમની સાથે જુહી ચાવલા લીડ રોલમાં હતા. આ ફિલ્મ માટે અરબાઝને બેસ્ટ વિલનનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો હતો.
આમ તો, અરબાઝ પોતાની એક્ટિંગ કરતા પર્સનલ લાઈફના કારણે વધુ ચર્ચામાં રહ્યા. તેમની અને મલાઈકાની રિલેશનશિપની ચર્ચા હંમેશા જોરશોરથી થતી. જોકે, બંનેની લવ સ્ટોરીની વાત કરીએ તો તે કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. જેટલા ફેમસ તેમના લગ્ન થયા હતા એટલા જ તેમના છૂટાછેડા ચર્ચામાં રહ્યા હતા.
મલાઈકા અને અરબાઝની લવ સ્ટોરી 1993માં શરૂ થઈ હતી. એ સમયે મલાઈકા એક જાણીતી વીજે અને મોડેલ હતી. બંનેની મુલાકાત એક કૉફી એડ ફિલ્મના શૂટિંગ દરમિયાન થઈ હતી. લગ્નના પાંચ વર્ષ પહેલા તેમણે એકબીજાને ડેટ કર્યા હતા.
મલાઈકાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પહેલા અરબાઝને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સાથે જ તેણે કહ્યું કે બંનેને પહેલી નજરમાં જ એકબીજા માટે પ્રેમ થઈ ગયો હતો અને અંદરથી અહેસાસ થયો કે બંને એકબીજા માટે જ બન્યા છે.
અરબાઝ મુસ્લિમ પરિવારમાંથી છે અને મલાઈકા પંજાબી-ક્રિશ્ચિયન પરિવારમાંથી છે. એવામાં આ બંનેના લગ્નને લઈને એવી ચર્ચા કરવામાં આવી હતી કે તેઓ નિકાહ કરશે કે હિંદૂ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે. પરંતુ 12 ડિસેમ્બર 1998ના દિવસે તેમણે ક્રિશ્ચિયન વેડિંગ કરીને સૌને ચોંકાવી દીધી હતા.
બંનેએ એક રોમન કેથલિક ચર્ચમાં ક્રિશ્ચિયન સ્ટાઈલથી લગ્ન કર્યા. આ દરમિયાન મલાઈકાએ ડિઝાઈનર વેંડેલ રોડ્રિક્સ ડિઝાઈન કરેલો ગાઉન પહેર્યો હતો. મલાઈકા-અરબાઝે 1998માં પહેલા ચર્ચમાં લગ્ન કર્યા અને પછી નિકાહ કર્યા. લગ્નના ચાર વર્ષ બાદ મલાઈકાએ 2002માં દિકરા અરહાનને જન્મ આપ્યો.
લગ્નના 19 વર્ષ બાદ મલાઈકાએ અરબાઝથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો. બંનેના 2017માં છૂટાછેટા થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અરબાઝને સટ્ટો લગાવવાની આદત હતી અને 3 કરોડ રૂપિયા હારી ચૂક્યા હતા. એકવાર આઈપીએલમાં સટ્ટાબાજીમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. અરબાઝની આ આદતથી કંટાળીને મલાઈકાએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો.
અરબાઝે છૂટાછેડા બાદ એક ઈન્ટરવ્યૂમાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, મારા લગ્ન બચાવવા માટે મેં તમામ પ્રયાસો કર્યા પરંતુ હું તેમાં સફળ ના થયો, જો કે ઠીક છે.
મલાઈકાએ પણ તૂટતા અને નવા સંબંધોને લઈને વાત કરી હતી. તેણે કહ્યું કે-જી હા કેમ નહીં. સંબંધ તૂટ્યા બાદ આગળ વધવું જરૂરી છે. એક સંબંધ તૂટ્યા બાદ બીજીવાર કોઈને ડેટ કરવું મુશ્કેલ હોય છે, પરંતુ તે અસંભવ નથી.
મલાઈકાએ છૂટાછેડા સમયે ભરણપોષણ માટે 10 કરોડ માગ્યાં હતાં. રિપોર્ટ્સનું માનીએ તો મલાઈકા તેનાથી ઓછામાં માનવા તૈયાર જ નહોતી. તો, અરબાઝે મલાઈકાને ભરણ પોષણ પેટે 15 કરોડ આપ્યા હતા.