શાકભાજી-કરિયાણું લાવ્યા બાદ કોરોનાવાઈરસનો ચેપ ના લાગે તે માટે ન્હાવું જરૂરી છે?
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના કારણે એક રીતે ડરનો માહોલ છે. બીમારીથી વધુ તેના વિશે ફેલાઈ રહેલી અફવાઓ ડરનું મુખ્ય કારણ છે. આવા માહોલમાં હાલ લોકો ડૉક્ટરો અને વિશેષજ્ઞોને કોરોનાને લઈને સવાલો પુછી રહ્યા છે. લૉકડાઉન વચ્ચે લોકો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરી રહ્યા છે અને પોતાના ઘરમાં રહે છે. પરંતુ જરૂરી સામાન અને રાશન લેવા બહાર જવું જ પડે છે. જરૂરી વસ્તુ અને સેવાઓ માટે બહાર જતા લોકો વધુ આંશકમાં રહે છે. અનેક લોકો કપડાં, જૂતાથી લઈને દાઢી-વાળના માધ્યમથી કોરોનાના ફેલાવા સાથે જોડાયેલા સવાલોના જવાબ જાણવા માંગે છે. ન્યૂયૉર્ક ટાઈમ્સના રિપોર્ટમાં આવા અનેક જરૂરી સવાલોના જવાબ વૈજ્ઞાનિકોએ આપ્યા છે.
શું પરચૂરણ, ફળ-શાક, દવાની દુકાનથી ઘર આવ્યા બાદ કપડા ધોવા અને નહાવું જોઈએ? મોટાભાગના લોકો, જેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે, તેમને આવી જરૂર નથી, હા ઘરે જઈને સાબુથી હાથ ધુઓ. ઘરથી બહાર કોઈ સંક્રમિત હોય તેવી આશંકા હોય છે. તેની છીંક કે ખાંસીના ટીપા તમારા સુધી ન પહોંચે એટલા માટે છ ફૂટના અંતરે ઉભા રહો. જોકે, નાના ટીપા હવામાં કેટલાક સમય સુધી રહે છે. પરંતુ તે કપડા પર રહે તેવી સંભાવના ખૂબ જ ઓછી હોય છે.
વાઈરસ સહિત નાના ટીપાં કપડાં પર કેમ નથી રહેતા? નાના ટીપાં આપણી ચારેય તરફ હાજર હવાના પ્રવાહ સાથે વહે છે અને તેજ ગતિથી ચાલતી કોઈ વસ્તુ સાથે ટકરાય છે. કારણ કે માણસ ખૂબ જ ધીમી ગતિથી ચાલે છે, એટલે આપણે તેની સાથે ટકરાઈએ એવી આશંકા નહીવત છે. માત્ર ભારે ટીપાં જ આપણે અંગ કે કપડા પર પડી શકે છે કારણ કે તે હવાના પ્રવાહની સાથે વહી નથી શકતા. જો બહાર જવાથી એવું થાય તો જ ઘરે આવીને કપડાં ધુઓ અને નાહી લો.
શું દાઢી અને માથાના વાળમાં પણ વાઈરસ ફેલાવી શકે છે? જો તમે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો છો, તો શરીર પર ક્યાંય વાઈરસ ના આવી શકે. જો કોઈ સંક્રમિત છીંક કે ખાંસી ખાય અને તેના અનેક ટીપાં તમારા વાળ કે દાઢી પર પડે, તો ત્યાં વાઈરસની સંભાવના હોઈ શકે છે. જે બાદ, જો તમે વાળમાં હાથ લગાવીને તેને નાક, મો કે આંખ પર લગાવો તો જ ચેપની સ્થિતિ પેદા થાય છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ રીતે વાઈરસ ફેલાવાની શક્યતા ખૂબ જ ઓછી છે.
શું કપડાં ધોવાથી વાયરસ મરી જાય? હા. સાબુ અને ડિટર્જન્ટથી કપડા ધોતા રહો. જો કોઈ પણ રીતે કપડાં પર વાઈરસ હશે તો, સાબુ કે વોશિંગ પાવડરથી ધોશો એટલે મરી જશે. એટલે ગભરાવાની કોઈ જ વાત નથી.
કપડાં પર વાઈરસ કેટલી વાર રહે છે? અભ્યાસ પ્રમાણે ધાતુ પર ત્રણ દિવસ અને પુંઠા પર એક દિવસ વાઈરસ રહેવાની સંભાવના છે. કપડાં પર ખાસ અભ્યાસ નથી થયો. જોકે, વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે પુંઠાની શોષી લેવાની ક્ષમતાના કારણે તેના પર વાઈરસ ઓછા સમય સુધી રહે છે, કપડાં પર આ જ સંભાવના છે.
જૂતાને ડિસઈન્ફેક્ટન્ટ કરવા જરૂરી છે? જૂતા વાઈરસના વાહક હોઈ શકે છે પરંતુ તે ચેપ લાગવાનો સામાન્ય સ્ત્રોત નથી, વિશેષજ્ઞો કહે છે કે, એવા જૂતા પહેરીને જાઓ જે ઘર આવતા જ સાબૂથી ધોવાઈ શકે. સાથે જ જો ઘરમાં જૂતા લાવવા પર રોક લગાવવામાં આવે તો સારું રહે.
શું સામાનના ડિલીવરી પેકેજ, અખબાર પર વાઈરસને લઈને ચિંતિત થવું જોઈએ? કોઈ પેકેજ પર સંક્રમણની આશંકા ખૂબ જ ઓછી છે. અત્યાર સુધી કોઈ એવો મામલો સામે નથી આવ્યો, જે અખબાર કે પેકેજના કારણે સંક્રમણની પુષ્ટિ કરતો હોય.