વારાણસી: કોરોનાકાળમાં પોલીસ લોકોને જાગૃત કરવા માટે સૂચનો આપી રહી છે અને નિયમોનું કડકાઈથી પાલન પણ કરાવી રહી છે. જે હેઠળ ઉત્તર પ્રદેશના વારાણસીથી રસપ્રદ ઘટના સામે આવી છે, જ્યાં પોલીસ બુલેટ ચલાવનારા લોકોને મેમો આપી રહી છે.
વારાણસી પોલીસની દલીલ છે કે, કોરોના કાળ દરમિયાન બુલેટના મોડિફાઈડ સાઈલેન્સર લોકોની શાંતિ ભંગ કરી રહ્યાં છે. આ જ કારણે પોલીસે અત્યારસુધીમાં 250 થી 300 બુલેટ ડિટેન કરી છે. આ ઉપરાંત 500થી વધુ બુલેટ બાઈક્સ ચાલકને મેમો આપવામાં આવ્યા છે. વારાણસી પોલીસે જણાવ્યું કે, વધુ અવાજવાળી બુલેટ લોકોની શાંતિ ભંગ કરી રહી છે. જેના કારણે મળતી ફરિયાદોના પગલે આવી બુલેટ્સ ચલાવતા લોકોને મેમો આપવાનું કે વાહન ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રસપ્રદ વાત એ છે કે, પોલીસે જણાવ્યું કે ઘણા યુવકોના માતા-પિતા પોલીસનો આભાર માનવા આવ્યા હતા, જેઓ પોતાના બાળકોને વધુ અવાજવાળી બુલેટ ચલાવવાનો ઈન્કાર કરતા હતા. પરંતુ બાળકો તેમની સાંભળતા નહોતા અને પોલીસે તેમને યોગ્ય સજા આપી.
હાલ વારાણસીમાં પોલીસ બુલેટ ચલાવતા લોકો વિરુદ્ધ મોટાપાયે કાર્યવાહી કરી રહી છે. બુલેટ ચલાવતા લોકોએ પોતાની બાઈકનો અવાજ ઓછો કરાવવો પડશે અથવા પોલીસનો મેમો લેવાનો વારો આવશે. હવે એ જોવાનું રસપ્રદ છે કે આ કાર્યવાહી ક્યાં સુધી ચાલતી રહેશે.