મુંબઈ: ટીવી અભિનેત્રી સેજલ શર્માએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સેજલ શર્મા છેલ્લા કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફથી ખૂબ જ પરેશાન હતી જેના લીધે તેણે આ પગલું ભર્યું હોય તેવું જાણવા મળ્યું છે. પોલીસને સેજલના મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી જેમાં તેણે આત્મહત્યાનું કારણ જણાવ્યું હતું. અભિનેત્રી સેજલ શર્મા ‘દિલ તો હૈપ્પી હૈ જી’માં કામ કર્યું હતું. જોકે થોડા મહિનાઓ પહેલાં જ આ સીરિયલ બંધ થઈ ગઈ હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સેજલ શર્માના ઘરે એક સુસાઈડ નોટ અંગ્રેજીમાં લખેલી મળી હતી. જેમાં તેણે છેલ્લા દોઢ મહિનાથી ડિપ્રેશનમાં હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ અધિકારી સંદીપ કદમે જણાવ્યું હતું કે, સેજલના ઘરેથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે પર્સનલ કારણોથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.
સેજલના કો-સ્ટાર નિર્ભય શુક્લાએ એક ખાનગી વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સેજલ પોતાના પિતાની તબિયતને લઈને બહુ જ ચિંતા કરતી હતી. તે નવેમ્બરમાં પિતાને મળવા ઉદેયપુર પણ ગઈ હતી. તે સમયે તેના પિતાને હાર્ટ અટેક આવ્યો હતો. નિર્ભયે જણાવ્યું કે, સેજલના પિતાને કેન્સર છે.
‘દિલ તો હૈપ્પી હૈ જી’માં લીડ રોલ પ્લે કરનાર જૈસ્મિન ભસીને સેજલના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું. તેણે કહ્યું હતું કે, સેજલ સારી છોકરી હતી. સેજલે આત્મહત્યા કરી હોવાના સમાચાર સાંભળીને તે બહુ જ દુખી થઈ હતી.
સેજલે આમિર ખાન, રોહિત શર્મા, અને હાર્દિક પંડ્યા સાથે એક એડમાં કામ કર્યું હતું. આ સિવાય ‘આઝાદ પરિંદે’ નામની વેબ સીરિઝમાં પણ તે જોવા મળી હતી.
સેજલ પોતાની પર્સનલ લાઈફને લઈને બહુ જ પરેશાન હતી. ગુરૂવારે મોડી રાતે તેણે પોતાના મિત્રો સાથે પણ વાતો કરી હતી. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, તે દોઢ મહિનાથી ડિપ્રેશનમાં હતી.
સેજલના મોતની પૃષ્ટિ તેના કો-એક્ટરે કરી હતી. તેણે મીડિયાને જણાવ્યું હતું કે, સેજલના સમાચાર સાંભળીને મને ઝાટકો લાગ્યો હતો. તેનું કહેવું છે કે, આ વાત માનવી મારા માટે મુશ્કેલી હતી કે સેજલ હવે આ દુનિયામાં નતી રહી. કારણ કે તેને હું 10 દિવસ પહેલા જ મળ્યો હતો અને રવિવારે જ મારી તેની સાથે વ્હોટ્સએપ પર વાત થઈ હતી.
અભિનેત્રીના કો-એક્ટરે કહ્યું હતું કે, સેજલના પરિવારજનો તેના પાર્થિવદેહને ઉદેયપુર લઈ ગયા અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.