અમદાવાદઃ હાલ ગુજરાતમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ પડે તેવી સંભાવના છે તેવી આગાહી કરી છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી સોમવાર અને મંગળવાર એટલે કે 27 અને 28 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે આ પહેલા આજે જ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 27 અને 28 જાન્યુઆરીએ સામાન્ય વરસાદ રહે તેવી સંભાવના છે. 27 જાન્યુઆરીએ દ્વારકા, પોરબંદર અને રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે 28 જાન્યુઆરીએ વડોદરા સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
હાલ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણની સ્થિતિ સર્જાઈ છે. આખું વર્ષ ખેડૂતોને એક બાદ એક મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે હવામાનની આ આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે જેના કારણે ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો થશે અને તાપમાનમાં અંદાજે 4 ડિગ્રીનો વધારો થશે. મહત્વપૂર્ણ છે કે, ક્લાઈમેન્ટ ચેન્જની અસર ઋતુઓ પર થઈ રહી છે. જેના કારણે વારંવાર સિસ્ટમો સક્રિય થઈ રહી છે.
વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ, તાપમાનમાં અચાનક વધારો અને ઘટાડો થવો અને તેના કારણે સિઝન પાકને નુકસાન થાય છે.