અમદાવાદઃ વધુ વજનને કારણે આજકાલ અનેક લોકો હેરાન-પરેશાન છે. આ કોઈ બીમારી નથી પરંતુ બદલાતી જતી લાઈફ સ્ટાઈલને કારણે વજન વધતું જાય છે. ઝડપથી વજન વધવાના ચક્કરમાં અનેક બીમારીઓનો ભોગ બનવું પડે છે. જાડા લોકો મોટા ભાગે પેટની ચરબી ઘટાડવાના ઉપાયો શોધતા હોય છે. વર્કઆઉટ ઉપરાંત યોગ્ય આહાર લેવો પણ ઘણો જરૂરી છે.
આપણે રોજ આપણા ડેઈલી રૂટિનમાં નાની-નાની વાતોને નજર અંદાજ કરીએ છીએ. આ બાબતો આપણા શરીરમાં ચરબી વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત નાની-નાની બાબતો છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. આજે આપણે એક એવા પાણીની વાત કરીશું, જે વજન ઓછું કરવાનો રામબાણ ઈલાજ છે.
જવ ફાઈબરથી પરિપૂર્ણ અને સ્વાસ્થ્ય માટે સારા છે. જવના સેવનથી પેટ ભરેલુ રહે છે, જેથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જવમાં ફેટની માત્રા ઓછી અને કેલરી વધુ હોય છે, જે વજન ઘટાડવામાં ફાયદાકારક નીવડે છે.
જવનું પાણી બનાવવા માટે તમારે એક ઊંડા વાસણમાં દોઢ લીટર પાણી ગરમ કરવું. પાણી ઉકળવા લાગે એટલે તેમાં અડધો કપ આખા જવ તથા તજનો નાનો ટૂકડો નાખવો. ધીમી આંચ કરીને 30 મિનિટ સુધી ઉકાળો. પાણી દોઢથી બે ગ્લાસ જેટલું રહે એટલે ગેસ બંધ કરો. ઠંડું થાય એટલે પાણીને ગાળી લો. સ્વાદ વધારવા માટે લીંબુનો રસ અને મધ ઉમેરો. આ પાણીને દિવસમાં બેવાર પીવો. જવના પાણીને બાર્લી વોટર પણ કહેવામાં આવે છે.
જવના પાણીના ફાયદાઃ જવનું પાણી રોજ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ પાણી શરીરને ડીટોક્સીફાઈ કરે છે. જવનું પાણી બ્લડ સુગરને પણ કંટ્રોલમાં કરે છે. આ પાણી એન્ટી ઓક્સીડેન્ટ્સ તથા વિટામિનથી ભરપૂર હોય છે. આ સાથે જ પાણીમાં આર્યન મેગનીઝ તથા ફોલિક એસિડ તેવા તત્વો રહેલા છે.
વજન ઘટાડવામાં કારગતઃ સવારે જવનું પાણી પીવું. આમ કરવાથી વજન ઘટે છે. આ પાણીમાં આદુનો રસ મિક્સ કરવાથી શરીરમાં જામેલી ચરબી ધીમે ધીમે ઓગળવા લાગે છે.
(ખાસ નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ કોઈ પણ પ્રકારની દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત વજન ઉતારવા માટે જવના પાણીની સાથે ડાયટ તથા એક્સરસાઈઝ કરવી અતિ આવશ્યક છે. જવ દરેકની પ્રકૃતિને માફક આવે તે જરૂરી નથી. માટે તમારા શરીરને ધ્યાનમાં રાખીને આ પ્રયોગ કરવો.)