કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકો જ્યાં છે ત્યાં જ ફસાઇ ગયા છે. તો લોકડાઉનના કારણે ફેક્ટ્રી, પરિવહન સહિત બધુ જ બંધ છે. એવામાં છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં યમુના નદી સ્વચ્છ થઇ જવાની તસવીરો સામે આવી હતી પરંતુ દિલ્હીમાં જ સદર બજારમાં સ્થિત એક કુવામાં અચાનક પાણી વધવા લાગતા આસપાસ રહેતા લોકોમાં ભારે કુતુહલતા જાગી છે.
દિલ્હીની સદર બજાર હોલસેલની મોટી માર્કેટ હબ છે. અહીં મુઘલોના સમયથી એક મોટી બજાર હતી. કહેવામાં આવે છે કે અહીં મુઘલોના ઘોડા વિશ્રામ કરતાં હતા. આ જ કારણ છે કે તેને આજે પણ ઘોડાવાળી સરાયના નામથી ઓળખવામાં આવે છે. અહીં એ સમયનો એક જૂનો કૂવો પણ આજે જોવા મળે છે.
આ કૂવામાં સામાન્ય રીતે 50થી 60 ફૂટ નીચે પાણી હોય છે પરંતુ લોકડાઉનનના કારણે કૂવાંનું પાણી ચમત્કારીક રીતે ઉપર આવી ગયું અને જમીનથી 10 ફૂટ જ નીચે છે. હવે આ પાણી લોકો માટે મુશ્કેલી બની રહ્યું છે કારણે આસપાસના વિસ્તારમાં પાણી ફેલાઇ રહ્યું છે.
બાદમાં કારણ જાણવા મળ્યું કે હાલ સદર બજાર હાલ સીલ છે આથી આસપાસ રહેતા મજૂરો આ કૂવાના પાણીનો ઉપયોગ કરતાં હતા પરંતુ મજૂરો હાલ છે નહીં આથી પાણીથી કૂવો ભરાઇ ગયો. જો કે કૂતુહલતા ફેલાયા બાદ આસપાસના લોકો કૂવાનું પાણી જોવા દોડી આવે છે.
એટલું જ નહીં કૂવાના પાણીના સ્તરમાં અચાનક વધારો થતા તેની આસપાસ આવેલી દૂકાનની જમીનમાંથી પણ પાણી નીકળી રહ્યું છે. લોકોનું કહેવું છે કે આ પાણી કૂવામાંથી ઓસરીને દૂકાનોમાં પહોંચી રહ્યું છે.
સહર બજાર માર્કેટ એસોશિએશનના અધ્યક્ષ દેવરાજ બવેજાએ પણ આ વાતની પુષ્ટી કરી છે. દેવરાજનું કહેવું છે કે પ્રકૃતિના આ રિચાર્જથી કૂવાનું પાણી લગભગ ઉપર આવી ગયું છે. પરંતુ આસપાસના દુકાનદારો માટે આફત જરૂર આવી ગઇ છે અને અમે આ વાતની જાણ તંત્રને કરી છે.