ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં અંધશ્રદ્ધાનો મામલો સામે આવ્યો છે. અહીં અંધશ્રદ્ધાને કારણે એક યુવકે તેના ભાઇનું ઘર ખોદી નાંખ્યુ હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેણે આ કેમ કર્યું, તો પોલીસ પણ જવાબ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આરોપીએ જણાવ્યું હતું કે, રાત્રે તેને એક સપનું આવ્યુ હતુકે, ઘરમાં એક ઘડાની અંદર સોનું છે અને તે ઘરમાં કોઈ જગ્યાએ દાટેલું છે. જે બાદ તેણે તેના 4 મિત્રો સાથે મળીને ભાઈનું આખું ઘર ખોદી નાંખ્યુ હતું. પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે.
વાસ્તવમાં,લખનઉના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નિઝામ પુરમાં ગામમાં અમરજીત સાહુ રહે છે. અમરજીત સાહુના ભાઈ હરિરામ સાહુએ મોડી રાત્રે એક સપનું જોયું હતું કે, તેના ભાઈ અમરજીત સાહુના જૂના મકાનમાં સોનાથી ભરેલો ઘડો દાટેલો છે. આ પછી આરોપી હરિરામ સાહુએ તેના ચાર મિત્રો સાથે રાત્રે તેના ભાઈનું ઘર ખોદી નાંખ્યું હતું અને ઘડો શોધવાનું કામ શરૂ કર્યું હતું.
જો કે, ખોદકામ જોયા બાદ ગામલોકોએ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અંધશ્રદ્ધાને લીધે આ કૃત્ય કરવા બદલ ચારેય આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
આ અંગે એડીસીપી દક્ષિણ લખનૌ સુરેશચંદ્ર રાવતે જણાવ્યું હતું કે, આરોપી હરિરામ સાહુને રાત્રે એક સ્વપ્ન આવ્યુ હતું કે, તેનો ભાઈ અમરજીત સાહુના ઘરમાં સોનાના ઘડા દાટવામાં આવ્યા છે, ત્યારબાદ તે તેના મિત્રો સાથે મળીને રાત્રે તેના ભાઈના ઘરને ખોદી નાંખ્યુ હતુ.
હરિરામ સાહુ તેના મિત્રો સાથે ખોદકામ કરી રહ્યો હતો, ત્યારે કેટલાક ગામલોકોએ અવાજો સાંભળ્યા હતા. આ પછી લોકોએ પોલીસને જાણ કરી હતી અને ઘટના સ્થળે પહોંચ્યા બાદ અંધશ્રદ્ધાને કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તો, આરોપી હરિરામ સાહુનું કહેવું છે કે, મને રાત્રે એક સપનું આવ્યુ હતું અને અમે ગુરુજી સહિત બધાને અહીં ખોદવા બોલાવ્યા હતા. પરંતુ ઘડો મળ્યો ન હતો.